દાદાજી, તમે અમારા રોલ મોડલ છો
ભૂખ્યા પેટે, ખાધા પછી, સવારે ઊઠીને, કામ કર્યા પછીની એમ જુદા જુદા સમયના ધબકારાની મનોમન નોંધ કરતો, સાજે-માંદે નાડી કેવી હોય એની સરખામણી કરતો. ચહેરાનો રંગ, આંખ, જીભ, અવાજ, નખ, હલનચલન બધાનું નિરીક્ષણ કરતો, સવાલો પૂછીને મારા નિદાનની સચ્ચાઇ માપતો અને ઘરમાં બધાંને દવા આપતો. આહાર-વિહારમાં ફેરફાર સૂચવતો અને એમને સાજા કરતો.’... ‘તમારા નિદાનમાં તમને આટલો બધો વિશ્વાસ અને ઘરનાં પણ માને?’...
‘દાદાજી, છોકરી અને છોકરાનું એક-એક અર્થસભર, સરસ નામ કહો.’ અક્ષતે કહ્યું.
‘કેમ? કોના માટે?’ કહીને દાદાજી હસ્યા. જો કે એમને ખ્યાલ આવી ગયો હતો કે પૌત્ર એના ઘરે જન્મનારા બાળક માટે નામ પૂછે છે. એમણે કહ્યું, ‘આજકાલ તો બાળકનું નામ એના મમ્મી પપ્પા પાડે છે.’
‘દાદાજી, મારું નામ તમે જ પાડ્યું હતું. હવે તમારા પ્રપૌત્રનું નામ પાડવાનો અધિકાર તમારો જ છે. નામ તો વ્યક્તિત્વનો એક ભાગ છે. નામ વ્યક્તિની ઓળખ છે.’ અક્ષત બોલ્યો.
‘દાદાજી, પ્રપૌત્ર અને પ્રપૌત્રી બેઉનાં નામ સૂચવજો.’ સ્વાતિ બોલી.
દાદા બોલ્યા, ‘રાશિનું વળગણ નથી રાખવાનું ને? તો જો દીકરાનું નામ મરાલ પાડીશું. મરાલ એટલે માનસરોવરનો હંસ, જે નીરક્ષીરવિવેક જાણે છે અને સાચા મોતીનો ચારો ચણે છે. કેવું ઉદાત્ત એનું જીવન હોય.’
‘દાદાજી, અર્થ ખૂબ સરસ છે પણ આવું નામ ઝટ જીભે ચડે નહીં. બોલવામાં લોચા પડે કોઇ મરાલનું મલાડ કરી નાખે તો?’ સ્વાતિ બોલી.
‘બેટા, એ આપણો પ્રોબ્લેમ નથી. જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય એ શરૂઆતમાં લોચા મારે, પણ એક વાર અર્થ જાણે એટલે એ પણ બરાબર બોલતા શીખી જાય અને આપણે આપણા દીકરાને સ્વતંત્ર ઓળખ આપે, એ કયા કુટુંબનો છે એ સૂચવાય એવું નામ પાડવાનું હોય.’
‘દાદાજી, મરાલ નામ સાથે તમારા શુભાશિષ સંકળાયેલા છે એટલે જો દીકરો આવશે તો એનું નામ મરાલ જ રહેશે. દીકરોય જાણે કે દાદાજીનો આદેશ છે કે ક્યાંય અવિવેક નહીં આચરવાનો, ક્યારેય નીચા નહીં ઊતરવાનું પણ હવે છોકરીનું એક નામ કહો.’ સ્વાતિ બોલી.
‘છોકરીના નામની જરૂર નથી. તને છોકરો જ આવવાનો છે.’
‘આટલી બધી મક્કમતાથી કેવી રીતે કહેવાય? આપણે કંઇ જાતિ પરીક્ષણ નથી કરાવ્યું.’ અક્ષત બોલ્યો.
‘સ્વાતિની ચાલ, ઊઠબેસ, એની દેહાકૃતિના નિરીક્ષણથી સચોટપણે કહી શકાય. પહેલાંનાં વખતમાં વૈધો પ્રેગ્નન્ટ સ્ત્રીને જોઇને કહી આપતાં હતાં કે શું આવશે?
‘પણ દાદાજી, તમે ક્યાં વૈદ્ય...’
‘હા, બેટા મારાં નામની પાછળ વૈદ્યનું લેબલ નથી લાગ્યું પણ મને આરોગ્યશાસ્ત્રમાં રસ છે, તેથી મેં વૈદકના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. હું રોજેરોજ મારી, મારાં ભાઇબહેનોની, મારાં બા-બાપુજી અને તારાં દાદીની નાડી તપાસતો.
ભૂખ્યા પેટે, ખાધા પછી, સવારે ઊઠીને, કામ કર્યા પછીની એમ જુદા જુદા સમયના ધબકારાની મનોમન નોંધ કરતો, સાજે-માંદે નાડી કેવી હોય એની સરખામણી કરતો. ચહેરાનો રંગ, આંખ, જીભ, અવાજ, નખ, હલનચલન બધાનું નિરીક્ષણ કરતો, સવાલો પૂછીને મારા નિદાનની સચ્ચાઇ માપતો અને ઘરમાં બધાંને દવા આપતો. આહાર-વિહારમાં ફેરફાર સૂચવતો અને એમને સાજા કરતો.’
‘તમારા નિદાનમાં તમને આટલો બધો વિશ્વાસ અને ઘરનાં પણ માને?’
‘બેટા, મારો વિશ્વાસ બુદ્ધિયુક્ત અને તર્કસંગત વિશ્વાસ છે. હું પહેલા નિદાન કરીને પછી એને પોષે એવા લક્ષણો નથી શોધતો, પણ લક્ષણો જોઇને ઝીણવટપૂર્વક વિચારીને નિદાન કરું છું. માણસના આરોગ્ય સાથે તુક્કા દોડાવીને પ્રયોગ ન થાય કે ઉભડક નિદાન ન કરાય, એ હું જાણું છું. મને આપણા આયુર્વેદનો અભ્યાસ છે અને તેથી આ આત્મવિશ્વાસ છે.’
‘દાદાજી, તમારા જેવો આત્મવિશ્વાસ અમારામાં આવે એવો આશીર્વાદ આપો.’ સ્વાતિ બોલી.
‘બેટા, આશીર્વાદ તો છે, પણ પુરુષાર્થ તમારે કરવાનો છે. તો તમે ધારી સફળતા મેળવી શકશો. વિદ્યા પ્રાપ્ત કરવા તમારે ફાલતુ પ્રવૃત્તિઓ છોડવી પડે. એકાગ્રતાથી દિલ રેડીને અભ્યાસ કરવો પડે. તો તમે ધારો એ વિષયમાં પારંગત થઇ શકો.’