Monday, December 21, 2009

Monday, Dec 21st, 2009, 6:43 pm [IST]

danik bhaskarદાદાજી, તમે અમારા રોલ મોડલ છો

Prashsti Mehta

ભૂખ્યા પેટે, ખાધા પછી, સવારે ઊઠીને, કામ કર્યા પછીની એમ જુદા જુદા સમયના ધબકારાની મનોમન નોંધ કરતો, સાજે-માંદે નાડી કેવી હોય એની સરખામણી કરતો. ચહેરાનો રંગ, આંખ, જીભ, અવાજ, નખ, હલનચલન બધાનું નિરીક્ષણ કરતો, સવાલો પૂછીને મારા નિદાનની સચ્ચાઇ માપતો અને ઘરમાં બધાંને દવા આપતો. આહાર-વિહારમાં ફેરફાર સૂચવતો અને એમને સાજા કરતો.’... ‘તમારા નિદાનમાં તમને આટલો બધો વિશ્વાસ અને ઘરનાં પણ માને?’...



family‘દાદાજી, છોકરી અને છોકરાનું એક-એક અર્થસભર, સરસ નામ કહો.’ અક્ષતે કહ્યું.



‘કેમ? કોના માટે?’ કહીને દાદાજી હસ્યા. જો કે એમને ખ્યાલ આવી ગયો હતો કે પૌત્ર એના ઘરે જન્મનારા બાળક માટે નામ પૂછે છે. એમણે કહ્યું, ‘આજકાલ તો બાળકનું નામ એના મમ્મી પપ્પા પાડે છે.’



‘દાદાજી, મારું નામ તમે જ પાડ્યું હતું. હવે તમારા પ્રપૌત્રનું નામ પાડવાનો અધિકાર તમારો જ છે. નામ તો વ્યક્તિત્વનો એક ભાગ છે. નામ વ્યક્તિની ઓળખ છે.’ અક્ષત બોલ્યો.



‘દાદાજી, પ્રપૌત્ર અને પ્રપૌત્રી બેઉનાં નામ સૂચવજો.’ સ્વાતિ બોલી.



દાદા બોલ્યા, ‘રાશિનું વળગણ નથી રાખવાનું ને? તો જો દીકરાનું નામ મરાલ પાડીશું. મરાલ એટલે માનસરોવરનો હંસ, જે નીરક્ષીરવિવેક જાણે છે અને સાચા મોતીનો ચારો ચણે છે. કેવું ઉદાત્ત એનું જીવન હોય.’



‘દાદાજી, અર્થ ખૂબ સરસ છે પણ આવું નામ ઝટ જીભે ચડે નહીં. બોલવામાં લોચા પડે કોઇ મરાલનું મલાડ કરી નાખે તો?’ સ્વાતિ બોલી.



‘બેટા, એ આપણો પ્રોબ્લેમ નથી. જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય એ શરૂઆતમાં લોચા મારે, પણ એક વાર અર્થ જાણે એટલે એ પણ બરાબર બોલતા શીખી જાય અને આપણે આપણા દીકરાને સ્વતંત્ર ઓળખ આપે, એ કયા કુટુંબનો છે એ સૂચવાય એવું નામ પાડવાનું હોય.’



‘દાદાજી, મરાલ નામ સાથે તમારા શુભાશિષ સંકળાયેલા છે એટલે જો દીકરો આવશે તો એનું નામ મરાલ જ રહેશે. દીકરોય જાણે કે દાદાજીનો આદેશ છે કે ક્યાંય અવિવેક નહીં આચરવાનો, ક્યારેય નીચા નહીં ઊતરવાનું પણ હવે છોકરીનું એક નામ કહો.’ સ્વાતિ બોલી.



‘છોકરીના નામની જરૂર નથી. તને છોકરો જ આવવાનો છે.’



‘આટલી બધી મક્કમતાથી કેવી રીતે કહેવાય? આપણે કંઇ જાતિ પરીક્ષણ નથી કરાવ્યું.’ અક્ષત બોલ્યો.



‘સ્વાતિની ચાલ, ઊઠબેસ, એની દેહાકૃતિના નિરીક્ષણથી સચોટપણે કહી શકાય. પહેલાંનાં વખતમાં વૈધો પ્રેગ્નન્ટ સ્ત્રીને જોઇને કહી આપતાં હતાં કે શું આવશે?



‘પણ દાદાજી, તમે ક્યાં વૈદ્ય...’



‘હા, બેટા મારાં નામની પાછળ વૈદ્યનું લેબલ નથી લાગ્યું પણ મને આરોગ્યશાસ્ત્રમાં રસ છે, તેથી મેં વૈદકના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. હું રોજેરોજ મારી, મારાં ભાઇબહેનોની, મારાં બા-બાપુજી અને તારાં દાદીની નાડી તપાસતો.



ભૂખ્યા પેટે, ખાધા પછી, સવારે ઊઠીને, કામ કર્યા પછીની એમ જુદા જુદા સમયના ધબકારાની મનોમન નોંધ કરતો, સાજે-માંદે નાડી કેવી હોય એની સરખામણી કરતો. ચહેરાનો રંગ, આંખ, જીભ, અવાજ, નખ, હલનચલન બધાનું નિરીક્ષણ કરતો, સવાલો પૂછીને મારા નિદાનની સચ્ચાઇ માપતો અને ઘરમાં બધાંને દવા આપતો. આહાર-વિહારમાં ફેરફાર સૂચવતો અને એમને સાજા કરતો.’



‘તમારા નિદાનમાં તમને આટલો બધો વિશ્વાસ અને ઘરનાં પણ માને?’



‘બેટા, મારો વિશ્વાસ બુદ્ધિયુક્ત અને તર્કસંગત વિશ્વાસ છે. હું પહેલા નિદાન કરીને પછી એને પોષે એવા લક્ષણો નથી શોધતો, પણ લક્ષણો જોઇને ઝીણવટપૂર્વક વિચારીને નિદાન કરું છું. માણસના આરોગ્ય સાથે તુક્કા દોડાવીને પ્રયોગ ન થાય કે ઉભડક નિદાન ન કરાય, એ હું જાણું છું. મને આપણા આયુર્વેદનો અભ્યાસ છે અને તેથી આ આત્મવિશ્વાસ છે.’



‘દાદાજી, તમારા જેવો આત્મવિશ્વાસ અમારામાં આવે એવો આશીર્વાદ આપો.’ સ્વાતિ બોલી.



‘બેટા, આશીર્વાદ તો છે, પણ પુરુષાર્થ તમારે કરવાનો છે. તો તમે ધારી સફળતા મેળવી શકશો. વિદ્યા પ્રાપ્ત કરવા તમારે ફાલતુ પ્રવૃત્તિઓ છોડવી પડે. એકાગ્રતાથી દિલ રેડીને અભ્યાસ કરવો પડે. તો તમે ધારો એ વિષયમાં પારંગત થઇ શકો.’

Wednesday, December 9, 2009

danik bhaskarહર ક્ષણે આદર, હેતનો અહેસાસ થવો જોઇએ

Prashasti Mehta

એનો અર્થ એવો નહીં કે તેઓ કહે એ આંખો મીંચીને હું કરું કે જીવનના કોઇ પણ નિર્ણય લેતી વખતે એમને પૂછું. અમારી વચ્ચે એક વણલખી સમજ છે કે એમને ઉચિત લાગે એ તેઓ કરે અને મને ઉચિત લાગે તે હું કરું. મારા ખાતર એમણે જે કંઇ કર્યું છે તેથી તેઓ ખુશ છે, એમ કરવામાં એમને આનંદ છે. એને તેઓ ત્યાગ કે ભોગના નામથી નવાજતાં નથી. નિરપેક્ષ ભાવે તેમણે કર્યું છે. એ જ રીતે તેઓ મારી પાસેથી કોઇ ત્યાગ કે ભોગની અપેક્ષા નથી રાખતા...



‘આજે તારી વર્ષગાંઠ છે અને તેં કેમ પપ્પાજીને પ્રણામ ન કર્યા?’ શ્રાવણીએ એના પતિ સુલયને પૂછ્યું.



‘અમારા ઘરમાં વાંકા વળીને પગે લાગવાનો રિવાજ નથી. ડેડીએ મને હેપી બર્થ-ડે કહ્યું અને ભેટ્યા એમાં આશીર્વાદ, શુભેચ્છા વ્યક્ત ન થયાં? મને તો ભેટવાનું જ વધારે ગમે. પપ્પા વ્હાલથી ભેટે ત્યારે થાય કે આશીર્વાદ મળ્યા.’



શ્રાવણી બોલી, ‘બે હાથ જોડીએ પછી વડીલ આપણને છાતીસરસા ચાંપીને ભેટે જ છે, પણ નીચા નમીને પ્રણામ કરવા એ આપણા સંસ્કાર છે. એમાં નમ્રતા અને વિનય સૂચવાય છે.’



‘શ્રાવણી, એ તારી માન્યતા છે, કારણ કે તું હમણાં જ ભારતમાંથી આવી છે. હજુ મોડર્ન બનતા તને વાર લાગશે, જ્યારે હું તો અમેરિકામાં જન્મ્યો છું. હું અમેરિકનની જેમ બોલું છું, એની જેમ વિચારું અને વર્તુ છું. મારી માન્યતાઓ અને સંસ્કાર અમેરિકન સંસ્કૃતિના રંગે રંગાયેલા છે. આટલા દિવસોમાં તું જાણી ગઇ હોઇશ કે મને મારાં ડેડ અને મોમ માટે બહુ ભાવ છે, એમના સુખે સુખી થાઉ છું અને એમને દુ:ખી કરવા મને ન ગમે.



એનો અર્થ એવો નહીં કે તેઓ કહે એ આંખો મીંચીને હું કરું કે જીવનના કોઇ પણ નિર્ણય લેતી વખતે એમને પૂછું. અમારી વચ્ચે એક વણલખી સમજ છે કે એમને ઉચિત લાગે એ તેઓ કરે અને મને ઉચિત લાગે તે હું કરું.



મારા ખાતર એમણે જે કંઇ કર્યું છે તેથી તેઓ ખુશ છે, એમ કરવામાં એમને આનંદ છે. એને તેઓ ત્યાગ કે ભોગના નામથી નવાજતાં નથી. નિરપેક્ષ ભાવે તેમણે કર્યું છે.



એ જ રીતે તેઓ મારી પાસેથી કોઇ ત્યાગ કે ભોગની અપેક્ષા નથી રાખતા. કોઇનુંય શોષણ ન થવું જોઇએ, અન્યાય ન થવો જોઇએ, ગેરસમજ ન થવી જોઇએ, તો જ સંબંધમાં મીઠાશ અને સૌંદર્ય જળવાઇ રહે.’ શ્રાવણી સાંભળી રહી. એને યાદ આવ્યું કે સુલય લગ્ન કરવા આવ્યો ત્યારે લગ્ન પછી આશીર્વાદ લેતી વખતે વાંકો વળી પ્રણામ કરતો હતો, પણ ચરણસ્પર્શ કરતો નહોતો.



સુલયનાં મમ્મી-પપ્પાએ શ્રાવણી બધાંને પગે લાગે એવું થવા નહોતું દીધું. સુલયના પપ્પા બોલ્યા હતા, ‘ન્યૂલી મેરિડ ચિલ્ડ્રન માટે અમારા સદાકાળ સતત આશીર્વાદ હોય. બે હાથ જોડીને માથું નમાવો એમાં પૂજ્યભાવ પ્રગટ થાય, પણ એવું ન કરો તો સ્વાભાવિક લાગે.’



સુલયનાં મામા બોલ્યા હતા, ‘ના ભાઇ, આપણને તમારી વાત કબૂલ નથી, નાનાએ વડીલોનો ચરણસ્પર્શ કરવો જ જોઇએ. ફિલ્મો અને સિરિયલોમાં આપણા ભારતીય રિવાજનો કેટલો મહિમા કરે છે? કેટલો વિનય દેખાય છે એમાં.’



ત્યારે પપ્પાજી બોલ્યા હતા, ‘વિનય દેખાય છે કે એનો દેખાડો થાય છે? વિનય દેખાડાની ચીજ નથી. એનો અહેસાસ થવો જોઇએ. તમારા આંખ, ચહેરો, શરીર, ઊભા રહેવાની અને બોલવાની રીતથી એ પ્રગટ થાય છે. વિનય મનમાં રહેવો જોઇએ. યોગ્ય સમયે વ્યક્ત થવો જોઇએ.



શ્રાવણીને એના સસરાની વાત ગમી હતી. જો કે શ્રાવણીનો ઉછેર પરંપરાગત માનસિકતા ધરાવતા પરિવારમાં થયો હોવાથી તે જે પ્રથાને આજ સુધી અનુસરતી હતી, એને છોડી શકતી નહોતી. તેથી જ તેણે સુલયને ટોક્યો હતો, પણ મનથી એને આ ઘરની વિચારસરણી ગમે છે. વિનય, હેત, પ્રેમનો અહેસાસ હર પળે થવો જોઇએ. એ ભાવને બોલકો શું કામ બનાવવાનો? એથી એ ક્યારેક નાટકીય લાગે છે.