હર ક્ષણે આદર, હેતનો અહેસાસ થવો જોઇએ
એનો અર્થ એવો નહીં કે તેઓ કહે એ આંખો મીંચીને હું કરું કે જીવનના કોઇ પણ નિર્ણય લેતી વખતે એમને પૂછું. અમારી વચ્ચે એક વણલખી સમજ છે કે એમને ઉચિત લાગે એ તેઓ કરે અને મને ઉચિત લાગે તે હું કરું. મારા ખાતર એમણે જે કંઇ કર્યું છે તેથી તેઓ ખુશ છે, એમ કરવામાં એમને આનંદ છે. એને તેઓ ત્યાગ કે ભોગના નામથી નવાજતાં નથી. નિરપેક્ષ ભાવે તેમણે કર્યું છે. એ જ રીતે તેઓ મારી પાસેથી કોઇ ત્યાગ કે ભોગની અપેક્ષા નથી રાખતા...
‘આજે તારી વર્ષગાંઠ છે અને તેં કેમ પપ્પાજીને પ્રણામ ન કર્યા?’ શ્રાવણીએ એના પતિ સુલયને પૂછ્યું.
‘અમારા ઘરમાં વાંકા વળીને પગે લાગવાનો રિવાજ નથી. ડેડીએ મને હેપી બર્થ-ડે કહ્યું અને ભેટ્યા એમાં આશીર્વાદ, શુભેચ્છા વ્યક્ત ન થયાં? મને તો ભેટવાનું જ વધારે ગમે. પપ્પા વ્હાલથી ભેટે ત્યારે થાય કે આશીર્વાદ મળ્યા.’
શ્રાવણી બોલી, ‘બે હાથ જોડીએ પછી વડીલ આપણને છાતીસરસા ચાંપીને ભેટે જ છે, પણ નીચા નમીને પ્રણામ કરવા એ આપણા સંસ્કાર છે. એમાં નમ્રતા અને વિનય સૂચવાય છે.’
‘શ્રાવણી, એ તારી માન્યતા છે, કારણ કે તું હમણાં જ ભારતમાંથી આવી છે. હજુ મોડર્ન બનતા તને વાર લાગશે, જ્યારે હું તો અમેરિકામાં જન્મ્યો છું. હું અમેરિકનની જેમ બોલું છું, એની જેમ વિચારું અને વર્તુ છું. મારી માન્યતાઓ અને સંસ્કાર અમેરિકન સંસ્કૃતિના રંગે રંગાયેલા છે. આટલા દિવસોમાં તું જાણી ગઇ હોઇશ કે મને મારાં ડેડ અને મોમ માટે બહુ ભાવ છે, એમના સુખે સુખી થાઉ છું અને એમને દુ:ખી કરવા મને ન ગમે.
એનો અર્થ એવો નહીં કે તેઓ કહે એ આંખો મીંચીને હું કરું કે જીવનના કોઇ પણ નિર્ણય લેતી વખતે એમને પૂછું. અમારી વચ્ચે એક વણલખી સમજ છે કે એમને ઉચિત લાગે એ તેઓ કરે અને મને ઉચિત લાગે તે હું કરું.
મારા ખાતર એમણે જે કંઇ કર્યું છે તેથી તેઓ ખુશ છે, એમ કરવામાં એમને આનંદ છે. એને તેઓ ત્યાગ કે ભોગના નામથી નવાજતાં નથી. નિરપેક્ષ ભાવે તેમણે કર્યું છે.
એ જ રીતે તેઓ મારી પાસેથી કોઇ ત્યાગ કે ભોગની અપેક્ષા નથી રાખતા. કોઇનુંય શોષણ ન થવું જોઇએ, અન્યાય ન થવો જોઇએ, ગેરસમજ ન થવી જોઇએ, તો જ સંબંધમાં મીઠાશ અને સૌંદર્ય જળવાઇ રહે.’ શ્રાવણી સાંભળી રહી. એને યાદ આવ્યું કે સુલય લગ્ન કરવા આવ્યો ત્યારે લગ્ન પછી આશીર્વાદ લેતી વખતે વાંકો વળી પ્રણામ કરતો હતો, પણ ચરણસ્પર્શ કરતો નહોતો.
સુલયનાં મમ્મી-પપ્પાએ શ્રાવણી બધાંને પગે લાગે એવું થવા નહોતું દીધું. સુલયના પપ્પા બોલ્યા હતા, ‘ન્યૂલી મેરિડ ચિલ્ડ્રન માટે અમારા સદાકાળ સતત આશીર્વાદ હોય. બે હાથ જોડીને માથું નમાવો એમાં પૂજ્યભાવ પ્રગટ થાય, પણ એવું ન કરો તો સ્વાભાવિક લાગે.’
સુલયનાં મામા બોલ્યા હતા, ‘ના ભાઇ, આપણને તમારી વાત કબૂલ નથી, નાનાએ વડીલોનો ચરણસ્પર્શ કરવો જ જોઇએ. ફિલ્મો અને સિરિયલોમાં આપણા ભારતીય રિવાજનો કેટલો મહિમા કરે છે? કેટલો વિનય દેખાય છે એમાં.’
ત્યારે પપ્પાજી બોલ્યા હતા, ‘વિનય દેખાય છે કે એનો દેખાડો થાય છે? વિનય દેખાડાની ચીજ નથી. એનો અહેસાસ થવો જોઇએ. તમારા આંખ, ચહેરો, શરીર, ઊભા રહેવાની અને બોલવાની રીતથી એ પ્રગટ થાય છે. વિનય મનમાં રહેવો જોઇએ. યોગ્ય સમયે વ્યક્ત થવો જોઇએ.
શ્રાવણીને એના સસરાની વાત ગમી હતી. જો કે શ્રાવણીનો ઉછેર પરંપરાગત માનસિકતા ધરાવતા પરિવારમાં થયો હોવાથી તે જે પ્રથાને આજ સુધી અનુસરતી હતી, એને છોડી શકતી નહોતી. તેથી જ તેણે સુલયને ટોક્યો હતો, પણ મનથી એને આ ઘરની વિચારસરણી ગમે છે. વિનય, હેત, પ્રેમનો અહેસાસ હર પળે થવો જોઇએ. એ ભાવને બોલકો શું કામ બનાવવાનો? એથી એ ક્યારેક નાટકીય લાગે છે.
No comments:
Post a Comment