Monday, September 28, 2009


આ નવી પેઢી નસીબદાર છે

Prashasti Mehta
Monday, September 28, 2009 19:21 [IST]
Bookmark and Share

આદર્શ દીકરો અને ભાઇ બની રહેવાની લાલસામાં પત્ની અને પુત્રને પોતાના પ્રેમથી વંચિત રાખનારા અરુણભાઇને આજે તેમનું મહત્વ સમજાયું, ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું...



( સપનાની કેડીએ )



એંશી વર્ષના અરુણદાદા કહે છે, ‘અમેરિકા તો ખરેખર સ્વર્ગ છે. અહીં યુવાન દંપતી એકબીજા સાથે કેવું તાદાત્મ્ય અનુભવે છે? અને એમનાં સંતાનો સાથે એમના જેવડા જ થઇને કેવી સાહજિકતાથી નાચે છે, ગાય છે. હું તો વિસ્મય પામી જાઉ છું. મને ખૂબ આનંદ થાય છે, સાથે સાથે ઉદાસી પણ અનુભવું છું.



હું મારી પત્ની સાથે આવી મોકળાશથી, મિત્રભાવે જીવ્યો નથી. મારા સંતાનો સાથે રમ્યો નથી. અમારી પેઢી તો સ્વાભાવિકપણે, પોતાના મનથી જાણે જીવી જ નથી. અમે વડીલોની મર્યાદા અને સામાજિક વ્યવહારોમાં એવા બંધાયેલા રહ્યા કે અમારું જીવન, અમારી ઇચ્છા મુજબ જીવી શકાય એવો વિચાર પણ કદી આવતો નહીં. આદર્શ અને સંસ્કારના નામે, રિવાજ અને સભ્યતાના નામે, હૃદયમાં ઊઠતી સંવેદનાઓને બળજબરીથી ભીતરમાં દાટી દેતા. પોતાની જાતનો વિચાર કરવો એ તો જાણે અમારાથી ઘોર અપરાધ થઇ ગયો હોય એમ અમે કુંડિત થઇ જતા.



હા, કુટુંબને પ્રાધાન્ય આપવાના કારણે અમારા કુટુંબ સુગ્રથિત રહ્યાં. મા-બાપની સેવા કરવા માટે અને આજ્ઞાકારી બની રહેવા માટે આદર્શ દીકરાનું માન મળ્યું. તેથી મારે માટે હું ત્યારે ગૌરવ લેતો હતો, પણ આજે થાય છે કે મારી જિંદગી તો હું જીવ્યો જ નથી. યૌવનસહજ થનગનાટ મેં કદી અનુભવ્યો જ નહોતો.



અરે! મારી પત્નીને એના નામથી ‘શારદા’ કહીને બોલાવી નથી. એ બિચારી કદી મન ખોલીને મારી સાથે વાત કરી શકી નથી. એના માગ્યા વગર મેં કદી એને કોઇ વસ્તુ હોંશપૂર્વક ભેટ નથી આપી. રજાના દિવસે પિકનિક કે પિક્ચર હોય જ નહીં, ત્યારે તો માતા-પિતાને દર્શન કરાવવા લઇ જવાનાં હોય. કાં તો સામાજિક વ્યવહારમાં કોઇ સંબંધીના ઘરે જવાનું હોય.



એ વખતે પત્ની કરતાં અમારા લિસ્ટમાં કાકા, મામા, ફોઇ, માસી હંમેશાં આગળ, ટોપ પર રહેતાં. પત્ની ક્યારેક ડરતાં ડરતાં ફરિયાદ કરે તો હું શિખામણ આપતો કે મા-બાપની સેવા કરો તો સુખી થશો. હું મારાં ભાઇ-બહેન માટે ખર્ચા કરું ને પત્ની કંઇ કહે તો એને હું કહેતો, ‘ઉદાર બનો.’ કુટુંબ તરફ ફરજ બજાવવામાં હું એટલો અતિરેક કરતો કે પત્નીને ભયંકર અન્યાય કરી બેસતો.



આજે થાય છે કે હું આદર્શ દીકરો, આદર્શ ભાઇ બની શકયો, પણ પતિ તરીકે? પિતા તરીકે? શૂન્ય. આજે મને મારી એ ભૂલ સંતાપ આપે છે. પત્ની તો હયાત નથી કે બે હાથ જોડી એની માફી માગું, પણ દીકરાનેય મે તો લાડ નથી કર્યા. અત્યારે એને જોઉ છું તો એને છાતીસરસો ચાંપીને વહાલ કરવાનું મન થાય છે.



‘તો કરો ને વહાલ, એ ખુશ થશે.’ ‘અરે, એ મને ગાંડો જ સમજે છે. તમને ખબર છે એ મારી સાથે ખપપૂરતી જ વાત કરે છે. હા, મારી તબિયતની કાળજી રાખે છે. મારી બધી સગવડ સાચવે છે, પણ જાણે અમારી વચ્ચે એક અજાણ્યું વણદેખ્યું અંતર છે. હું એના જીવનનો એક ભાગ નથી, પણ જવાબદારી છું, જે એ આદરમાનથી નિભાવે છે. જો કે આવી ફરિયાદ હું ના કરી શકું કારણ કે એમાં વાંક મારો જ છે.



નાનપણમાં એ મારી પાસેથી કોઇ લાડ પામ્યો નથી. ક્યારેક જો એ તોફાન કરે તો એની મા કહેતી, તારા બાપા આવશે તો તને બરાબર ધોઇ નાખશે અને મારો દીકરો ડરનો માર્યોએક ખૂણામાં ભણવા બેસી જતો. હું પણ એવો મૂઢ હતો કે મેં ક્યારેય દીકરાના મનમાંથી ડર દૂર કરવા કદી પ્રયત્ન નથી કર્યો.



ત્યારે પતિ-પત્નીના અદ્વૈત કે સંતાન સાથેના આવા મુક્ત મૈત્રીસંબંધનો મને ખ્યાલ જ નહોતો. હું આવા મધુર સુખથી વંચિત જ રહ્યો છું. એટલે તો મારા દીકરાને કહું છું, ‘બેટા, જિંદગી માણો.’ મા-બાપને સાચવજો એ વાત સાચી પણ તેમની સાથોસાથ પત્ની અને બાળકોને પણ સાચવો. નહીંતર ભવિષ્યમાં મારી જેમ પસ્તાશો.’

Thursday, September 10, 2009

એક સેકન્ડ અને સોનાનો સંસાર નષ્ટ
Prashasti Mehta
Wednesday, September 09, 2009 20:15 [IST]
family-dispute.jpgપ્રેમલગ્નથી જોડાયેલાં, ઉચ્ચ ડિગ્રીધારી સુધીર અને પૂર્ણિમા ઉજજવળ ભવિષ્યનાં સ્વપ્ના સાકાર કરવા અમેરિકામાં વસ્યાં હતાં. ત્યાં એમના દીકરા શ્રીરાજનો જન્મ થયો અને દીકરાના સંપૂર્ણ વિકાસ પર પૂરું ઘ્યાન અને એને પૂરતો સમય આપી શકાય એ માટે પૂર્ણિમાએ ઊચા પગારની જોબ છોડી દીધી. પૂર્ણિમા શ્રીરાજને લઇને પાર્ક અને બીચ પર ફરવા જતી. ત્યાં એને જેમ્સનો પરિચય થયો. જેમ્સ ઉત્સાહથી થનગનતો, આનંદી, સૌમ્ય પુરુષ હતો.

એમનો પરિચય મિત્રતામાં પરિણમ્યો. ગાઢ, નિર્મળ મિત્રતા. સુધીરને પત્નીની આ મૈત્રી ખાસ રુચિ નહીં. અવારનવાર એમની વચ્ચે ઝગડા થવા માંડયા. એક વાર ઉશ્કેરાટમાં આવીને સુધીરે પોતાનાં સાનભાન ગુમાવીને પૂર્ણિમાને શૂટ કરી નાખી. બીજી જ ક્ષણે પોતે શું કર્યું, એનું એને ભાન થયું. પસ્તાવાથી એ ધેરાઇ ગયો. એણે પોલીસને ફોન કર્યો. પોતે તો હવે જેલમાં જશે પણ શ્રીરાજનું શું? એના અફસોસનો પાર નથી.

સુધીરે એની બહેન તન્વીને ફોન કર્યો. પોલીસ સુધીરને પકડીને લઇ જતી હતી ત્યારે તન્વી આવી પહોંચી. સુધીરે કહ્યું, ‘બહેન આજથી એ તારો.’ આટલું કહેતાં કહેતાં એનું ગળું રુંધાઇ ગયું, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એનું સોનેરી સ્વપ્નું, એનો સોનાનો સંસાર એના હાથે જ નષ્ટ થઇ ગયો હતો. ક્રોધના આવેશમાં નહીં ધારેલી ટ્રેજડી બની ગઇ. તન્વી ભાઇના દીકરાને હૈયાસરસો ચાંપી ધેર આવી. તન્વીનો પતિ ઉમેશ કહે, ‘આને ઘરે લાવી એના કરતાં પોલીસને સોંપી દેવો હતો.’

‘હું હોઉ અને મારા હાથે જ મારા પિતાના ઘરના ચિરાગને પોલીસના હવાલે કરું?’ પૂર્ણિમા હેબતાઇ ગઇ હતી, પણ એનું મગજ બરાબર વિચારી શકતું હતું. ભાઇએ તો સાનભાન ભૂલીને એક સેકન્ડમાં પોતાની જિંદગીને પાયમાલ કરી નાખી હતી, પણ કર્તવ્યનિષ્ઠ અને પ્રેમાળ તન્વી પોતાની ફરજ શી રીતે ભૂલી શકે? એણે પતિને કહ્યું, ‘હું જાણું છું, હું અને તું બંને જોબ કરીએ છીએ. મને આપણી દીકરી અંગના માટે સમય કાઢવામાં મુશ્કેલી પડે છે, ત્યાં આની જવાબદારી કેવી રીતે ઉઠાવીશ? એ વિચાર મને પણ આવ્યો, પરંતુ અંગનાની સાથે સાથે શ્રીરાજ ઉછરી જશે.’

‘પણ શ્રીરાજનું બેકગ્રાઉન્ડ? એનો બાપ, તારો ભાઇ એક ખૂની. એની માનુ ખૂન થતું એણે એની નજરે જોયું છે. એના પપ્પા જે આટલું ભણેલો, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ પામેલો એ ખૂની? સમાજ એને કઇ નજરે જોશે? કાલે પેપરમાં એના બાપ વિશે લાંબી લાંબી સ્ટોરીઝ છપાશે, ટીવીમાં આ બધું આવશે. શ્રીરાજના સબકોન્સિયસ માઇન્ડ પર એની કેવી અસર પડશે? ખૂની બાપનો દીકરો પણ કોને ખબર કેવો પાકશે?’ ઉમેશ બોલ્યે જતો હતો.

‘પ્લીઝ ઉમેશ, બંધ કર તારી આ શંકા-કુશંકા, આ ડર અને ભય વ્યકત કરવાને બદલે કંઇક તો સારું વિચાર. સમતોલ દ્દષ્ટિથી તું આખો બનાવ જો. મારા ભાઇ કમભાગી, કોણ જાણે કઇ દુર્ભાગી પળે એના હાથે જ એની પ્રાણપ્રિય પત્ની હણાઇ ગઇ. મારી ભાભી શુદ્ધ ચારિત્રની હતી પણ એ સ્વભાવને સુધીર ના સમજી શકયો. બેઉના માથે જીદ અને હુંપદ સવાર થઇ ગયાં હતાં અને સાલસ સુધીર અજાણતાં જ ખૂની બની ગયો. એ હું ય જાણું છું અને તું પણ આ વાત સારી રીતે જાણે છે.

આપણે શ્રીરાજને એનો બાપ ગુનેગાર નથી એમ સમજાવવાનું હોય, એના હૃદય અને મન પરથી એ આખા બનાવની છાપ ભૂંસવાની હોય કે એને ઘૂંટવાની હોય? શું શ્રીરાજને એના નસીબ પર છોડી દેવાનો?’ આટલું કહ્યા પછી તન્વીએ બે ઘડી શ્વાસ લીધો અને પછી મક્કમ સ્વરે પોતાનો નિર્ણય ઉમેશને જણાવ્યો, ‘તને વાંધો હોય તો હું શ્રીરાજને લઇને અલગ રહીશ, ઉમેશ. હું મારી ફરજ નહીં ભૂલું.’ કહીને તન્વી શ્રીરાજને લઇને અલગ થઇ ગઇ. દીકરી અંગના મમ્મી-પપ્પા વચ્ચે ઝૂલ્યા કરે છે.

Tuesday, September 1, 2009

મળી ગયું જીવનગીત

Prashasti Mehta
Tuesday, September 01, 2009 13:54 [IST]
સારા પગાર અને ઉચ્ચ હોદાની નોકરી છોડીને પણ ડોરીસ ખુશ હતી કેમ કે એની આગવી દુનિયામા જીવવા માટે એણે આ નિર્ણય લીધો હતો. નિજાનંદમાં મસ્ત રહેવા એ આટલી નિર્મોહી બની શકી હતી

mehta.jpgડોરીસ એક નાનકડા એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. મેં પૂછ્યું, ‘એકલા જીવવાનો તને કંટાળો નથી આવતો?’ ‘એકલા જીવવાનું મેં પોતે જ પસંદ કર્યું છે. પછી કંટાળો શું કામ આવે?’ હસીને ડોરીસે જવાબ આપ્યો અને આગળ ઉમેર્યું, ‘વળી, હું કદી એકલી નથી હોતી. હું કાયમ મારી જાત સાથે વાત કરતી જ હોઉ છું.

મારા માટે આ નજરે દેખાય છે એ દુનિયા નહીં, પણ મારા મનમાં મેં રચેલી મારી દુનિયા સાચી દુનિયા છે. મને આ ઝાકઝમાળભર્યું, દોડધામભર્યું જીવન કદી ગમ્યું નથી. જો કે મને શું ગમે છે એ શોધી કાઢતાં વર્ષોવીતી ગયાં છે.’‘એવું કેમ?’ મેં નવાઇ પામતાં પૂછ્યું.

‘મારા ડેડી સામાન્ય કારીગર અને સાવ થોડું ભણેલા અને મારી મોમ એક વકીલની લાડકવાયી દીકરી. સુખસગવડમાં ઉછરેલી, એને એના પપ્પાની ધનદોલતનું બહુ ગુમાન. એ મને સતત ટોકયા કરે કે તું સામાન્ય રહેવા નથી જન્મી. તારે કરિયર બનાવવાની છે, ખૂબ કમાવાનું છે.

હું સારું ભણી, પાંચ આંકડાના પગારની મને જોબ મળી, પણ મોમને તો કોઇ જાતનો હરખ જ નહીં. એ તો મને અને ડેડીને તુરછ ગણે અને નિસાસા નાખે. આવા કલહકંકાસમાં એક દિવસ અચાનક મારા ડેડનું હાર્ટફેઇલ થઇ ગયું અને મોમ પણ બળાપામાં મૃત્યુ પામી. હુંય બેચેન બની ગઇ.

મને ના જોબ કરવી ગમે, ના જીવવું ગમે. હું સાઇકિયાટ્રિસ્ટ પાસે ગઇ. ત્રણેક વર્ષ મેં એમની દવા કરી પણ મને જીવવામાં રસ જ ના જાગ્યો. એ દરમિયાન હું જીવનલક્ષી સાહિત્ય વાંચતી હતી અને ત્યારે મને એક વાત સમજાઇ. મારે કોઇ મનોચિકિત્સક, દવા કે ગુરુની જરૂર નથી.

મારે કઇ રીતે જીવવું એ મારે નક્કી કરવાનું છે. મારા જીવનમાં વ્યાપેલા આ અંધકારને દૂર કરવા માટે મારે ભીતરમાં ડોકિયું કરવું જોઇએ અને અંદરથી મને સંભળાવા માંડયું કે મારી મોમે મારા માટે જે કરિયરની કેડી કંડારી છે એ મારા અંત:કરણને મંજૂર નથી. મારે કંઇ બનવું નથી, બહારથી કંઇ મેળવવું નથી. આજ સુધી મારી મોમને સંતોષ આપવા હું મથી પણ હવે એ હયાત નથી.

હું મુકત છું.મારું જીવનગીત મને મળી ગયું છે. મેં સારા પગારની પ્રતિષ્ઠિત જોબ છોડી દીધી. મોટું ઘર અને મોંઘું ફર્નિચર વેચી નાખ્યું. આ એપાર્ટમેન્ટ લીધો અને હવે અઠવાડિયામાં કેટલાક કલાક મન થાય ત્યારે કામ કરી લઉ છું અને જરૂર પૂરતું કમાઇ લઉ છું. બાકીનો વખત વાંચુ, ચિત્રો દોરું, સંગીત સાંભળું, કુદરતનું સાનિઘ્ય માણું છું.’

‘આવો નિર્ણય લેતા પહેલા મનોમંથન અનુભવ્યું હતું?’ મેં સીધેસીધું પૂછી લીધું. અમેરિકામાં એટલું ખરું કે લોકો નિખાલસ હોય છે. કશુંય છુપાવ્યા વગર મનના ઊડાણની વાત ખુલ્લા દિલે કરતા હોય છે. ડોરીસે જવાબ આપ્યો, ‘મને મારો માર્ગ મળી ગયો પછી મનોમંથન શાનું? મનને સંતોષ થાય, મન પ્રસન્ન રહે તે રીતે જીવું એમાં બીજાને શું?’

મેં બીજો પ્રશ્ન કર્યો, ‘તું ઊચા પદ પર હતી ત્યારે જેમની સાથે સંબંધો હતા, જે મિત્રો હતા એ આજે છે?’‘સપાટી પરના સંબંધો સરકી ગયા છે. જે કોઇક રહ્યા છે, એનુંય મને વળગણ નથી. હું તો નિજાનંદમાં મસ્ત રહું છું.’ એણે કહ્યું. આપણનેય ડોરીસ જેવું જીવન ગમે પણ એવું સ્વાભાવિકતાથી જીવવાની, એની જેમ બધું છોડવાની આપણામાં હિંમત છે? એના જેવી સરળતા, નિર્મોહીપણું આપણામાં છે?

ભારતીય સંસ્કાર કદી મરે નહીં

Prashasti Mehta
Monday, August 31, 2009 21:37 [IST]
indian.jpgસુહાબહેન જાણતા હતાં કે એમના પતિ સતીશભાઇ નિર્દોષ છે, તદ્દન નિર્દોષ, પણ એમના પર ગંભીર પ્રકારનો આરોપ મૂકાયો છે- એ આરોપને સાચો ઠેરવતી જુબાની પણ સાક્ષીઓએ કોર્ટમાં આપી છે. જયુરીએ એમને દોષી ઠેરવ્યા છે અને જજસાહેબે સજા ફરમાવી કે અમેરિકા છોડીને તત્કાળ ચાલ્યા જાય.

કેટકેટલા આશા અને અરમાન સાથે સતીશભાઇ અને સુહાબહેન એમની ચાર દીકરીઓ સાથે અમેરિકા આવ્યા હતા. મનમાં આશા હતી કે દીકરીઓ સારું ભણશે અને એમને અમેરિકાની સિટિઝનશિપના હિસાબે સારા વર મળશે અને જિંદગી સુખી થઇ જશે. અમેરિકા આવ્યા પછી દીકરા શાનનો જન્મ થયો હતો. સુહાબહેન કહેતા, ‘અમેરિકા તો અમારા માટે તીર્થભૂમિ છે. અમારા બધા અરમાન પૂરા થયા.’ ખૂબ સુખમાં દિવસો, વર્ષોપસાર થતા હતા.

ત્યાં એમના હરીફે દુશ્મનાવટમાં એક કાવતરામાં સતીશભાઇને ફસાવી દીધા. તરત ધરપકડ થઇ, પેપરમાં અહેવાલ આવ્યો અને બદનામી થઇ, સજા થતાં દેશ છોડવાની વેળા આવી. ઇન્ડિયામાં પણ એમની બદનામીનો વાતો પહોંચી ગઇ હતી. હવે શું મોં લઇને ઇન્ડિયા જવાનું? પણ અમેરિકા તો છોડવું જ પડશે. દીકરીઓ બોલી, ‘તમે જાવ, અમે તો અહીં જ રહીશું અને અમારી જિંદગી બનાવીશું.’

સુહાબહેને પૂછ્યું, ‘તમે એકલી રહેશો?’ ‘અમે કયાં એકલી છીએ? ચાર બહેનો છીએ અને નાનો ભાઇલો શાન છે. અહીં અમે સુરક્ષિત અને સલામત છીએ. અમે જોબ કરીશું અને તમને ડોલર મોકલીશું.’ મોટી દીકરી વીસ વર્ષની હતી. પછી અઢાર, સોળ અને ચૌદ વર્ષની અને શાન દસ વર્ષનો હતો. સુહાબહેન મૂંઝાઇ ગયાં. સંતાનોને પારકા દેશમાં મૂકીને જતાં જીવ ચાલે નહીં અને સતીશભાઇને પણ આવી શરમજનક પરિસ્થિતિમાં ઇન્ડિયા એકલા મોકલાય નહીં. ત્યાંય એમનું ઘ્યાન કોણ રાખે? દુ:ખમાં સૌ સ્વજનો, સગાં દૂર ભાગે.

સુહાબહેને દીકરીઓને સમજાવી, પણ દીકરીઓ બોલી, ‘અમે અમારું હિત જોઇએ કે તમારું? અમારી જિંદગી અહીં બનશે.’ સુહાબહેનને થયું દીકરીઓ પાકી અમેરિકન થઇ ગઇ છે. સ્વાર્થી, સ્વકેન્દ્રી, તેમને માબાપની કંઇ ફિકર નથી. કુટુંબ પર કેવી મોટી આફત આવી છે, એનો વિચાર જ નથી કરતી. સતીશભાઇ બોલ્યા, ‘આપણા કમભાગ્યનો કોઇ અંત નથી.

મને થાય છે હું ના હોઉ તો તમે બધાં શાંતિથી જીવી શકો. હું તમારી જિંદગીમાં મોટો અંતરાય છું. હું આપઘાત કરું, પછી તમારે કોઇ દ્વિધા નહીં રહે. પતિના શબ્દો સાંભળીને સુહાબહેન બોલ્યા, ‘આજ સુધી સુખમાં આપણે સૌ સાથે હતા. તમારી મહેનતના ફળ અમે ભોગવીઓ છીએ અને તમારા પર વિપત્તિ આવી તો હું ખસી જાઉ? ના, એવું ના બને. દીકરીઓ ભલે અહીં રહે. દીકરો પણ ભલે રહેતો. આપણે બે ઇન્ડિયા જઇશું.’

‘ના, અહીંનો સમાજ તો આપણે જોઇ લીધો ને? સંતાનોને એકલાં ના મૂકાય. મા તરીકે તારી ફરજ છે, તું અહીં રહે અને મને સૂઝે એ માર્ગે મને જવા દે. એમાં જ આપણા બધાનું હિત છે.’ સૂઝતો માર્ગ એટલે આપઘાત એ સુહાબહેન સમજી ગયાં.

એ રડવા માંડયાં. મોટી દીકરીથી માનું કલ્પાંત ના જોવાતાં એ બોલી, ‘મમ્મી તું અહીં રહેજે હું પપ્પા સાથે ઇન્ડિયા જઇશ. તું અમારી જરાય ચિંતા ના કરતી.’ મોટી દીકરી એના પપ્પાને લઇને ઇન્ડિયા આવી. સુહાબહેન બાકીના સંતાનો સાથે અમેરિકામાં છે. મોટી દીકરી પર અનેક જવાબદારી છે, પણ એ બધાંને હિંમત આપે છે.