Thursday, October 29, 2009

એણે સત્તા અને સંપત્તિ છોડ્યાં

Prashsti Maheta
Thursday, October 29, 2009 18:54 [IST]

Woman bhaskar‘હું લગ્ન કરવાનું મુલત્વી રાખીને સાઘ્વી બનું?’ જેના આવતા અઠવાડિયે લગ્ન છે, લગ્નની બધી તૈયારી થઇ ચૂકી છે, આમંત્રણ અપાઇ ચૂક્યાં છે એવી બાવીસ વર્ષની યુવતી લોરાએ રોબર્ટ કીનલીને પૂછ્યું. રોબર્ટ આશ્ચર્યથી જોઇ રહ્યો.



એ યુવતી જરાય બાલિશ નહોતી લાગતી. સંપૂર્ણ પરિપકવ, બુદ્ધિશાળી અને ઠરેલ લાગતી આ યુવતી પ્રશ્ન પૂછવા બાબતે એ પૂરી ગંભીર લાગતી હતી.



કોણ છે આ રોબર્ટ? જેને પરણવા જતી કોઇ યુવતી આવો સવાલ પૂછે? રોબર્ટ કોઇ સાઇકિયાટ્રિસ્ટ છે? કોઇ સમાજસુધારક છે?



ના, એ સાઇકિયાટ્રિસ્ટ નથી, સમાજસેવક કે સુધારક નથી. એ પાદરી છે. એ ઓગણચાલીસ વર્ષનો યુવાન છે. અમેરિકાની સુપ્રસિદ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એ ઊંચા પદ પર હતો, મોટો પગાર હતો. એના હાથમાં ઘણીબધી સત્તા હતી. ફાયનાન્સ અને એડમિનિસ્ટ્રેશન ખાતાનો એ ડીન હતો. ઊંચા સ્તર પરના નિર્ણયો એ લેતો હતો.



આવા રોબર્ટે પોતાના જીવનને લગતો એક બહુ મોટો નિર્ણય એણે લીધો હતો. પોતાના પદ, સત્તા અને સંપત્તિ છોડીને એ પાદરી બની ગયા હતા. સાદી, શાંત જિંદગી પસંદ કરી હતી.



આજે આખી માનવજાત ભૌતિક સુખસગવડો, ભોગ વિલાસ, સત્તા અને પ્રસિદ્ધિ પાછળ આંધળી દોટ મૂકે છે. ઘર, વતન, મા-બાપ, કુટુંબ છોડીને જ્યાં તક મળે ત્યાં દોડી જાય છે, ત્યારે આ રોબર્ટ એને મળેલું બધું ફગાવીને વિરુદ્ધ દિશામાં કેમ દોડ્યો?



એણે યુવાન પેઢીને નશામાં ખુવાર થતી જોઇ, મારામારી અને ગેંગવોરમાં મરતી જોઇ અને થયું આ આપણી સભ્યતા? આ સંસ્કૃતિ? આ નવી પેઢી સુખ અને સમૃદ્ધિના રાજમાર્ગ પર જવાના બદલે વિનાશના પંથે વળી છે. વિજ્ઞાનની પ્રગતિ અને ભૌતિક સુખોએ એમના હૃદયના દીવાને જ બુઝાવી નાખ્યો છે. તેમનું ભવિષ્ય શું રહેશે?



રોબર્ટના હૈયામાં અપાર વેદના જાગી. એ તો પ્રખર બૌદ્ધિક હતો. માત્ર વિચાર કરીને બેસી રહે એવો નહોતો. આપણા દેશના મહાવીર અને બુદ્ધ ભરયુવાનીમાં જ રાજપાટ, મહેલ, વૈભવ છોડીને દુ:ખમાં સબડતી માનવજાત માટે નીકળી પડ્યા હતા કલ્યાણનો માર્ગ શોધવા. એ જ રીતે રોબર્ટે સુખચેનભરી જિંદગી ફગાવી દીધી.



પાદરી બન્યો પણ ચર્ચના શાંત, સલામત, એકાંત ખૂણામાં બેઠો નહીં. એણે તો બોસ્ટનના તોફાની વિસ્તારમાં પોતાની નિમણૂક માગી.



રોબર્ટ માને છે કે આ કિશોરો, યુવાનો કાયદાના ડરથી, જેલના બંધનથી કે પોલીસના દંડાથી સીધા રસ્તે ના ચાલે. એમનું હૃદયપરિવર્તન થાય તો જ તેઓ આ વિનાશકારી માર્ગથી પાછા વળે અને એ કામ સિદ્ધ થાય. સમભાવ, સ્નેહ અને સહાનુભૂતિથી વ્યકિતગત રીતે એમને મળો, એમના પ્રશ્નો સાંભળો અને હેતથી ઉકેલો તો જ એ હિંસામાંથી પાછા વળે.



આ પેઢીને સાંભળવા અને સમજવા માટે ખૂબ સમય જોઇએ. મન પર બીજા કામની ચિંતા રાખીને પાર્ટ-ટાઇમ સેવા ના થાય. આ યુવાનો માટે આપણે આપણી જિંદગી ભૂલી જવી જોઇએ. એક વાર આવો નિર્ધાર થયો કે રોબર્ટને પોતાનો માર્ગ સાફ દેખાયો. કોઇ પ્રલોભન એને અટકાવી શક્યું નહીં.



રોબર્ટે લોરા સાથે આ બધી વાત કરી અને લોરા એના લગ્ન કાયમ માટે મુલત્વી રાખી નન બની ગઇ. આપણે ત્યાં જૈન સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને સેવા માટે લોકો જીવન સમર્પણ કરે જ છે ને!

Sunday, October 18, 2009

પ્રાપ્તિએ કર્યું લક્ષ્મીપૂજન

Prashasti Mehta
Saturday, October 17, 2009 20:00 [IST]
ધનતેરસે લક્ષ્મીપૂજન કરવાનું પ્રાપ્તિનાં સાસુએ કહ્યું, ત્યારે એ ઘડી ભર માટે તો વિચારમાં પડી ગઇ. જયારે એનાં સાસુને પ્રાપ્તિએ કરેલા લક્ષ્મીપૂજનની જાણ થઇ ત્યારે એમણે એવું તો શું કહ્યું કે પ્રાપ્તિ અભિભૂત થઇ ગઇ?

prapti.jpgઆગળ અભ્યાસ માટે પ્રાપ્તિએ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. એના ઘરથી યુનિવર્સિટી ઘણી દૂર. વળી, જોબનું સ્થળ એની વિરુદ્ધ દિશામાં. તેથી પ્રાપ્તિનાં સાસુ કહે, ‘યુનિવર્સિટીની નજીક ઘર લઇ લો.

નહીંતર આવવા-જવાનો વખત બગડશે, પ્રાપ્તિ થાકીને લોથ થઇ જશે.’ પ્રાપ્તિ તો નવાઇ જ પામી ગઇ. કોઇ પણ મુશ્કેલીમાં સાસુ કેટલો ઝડપથી અને પ્રેમથી માર્ગ કાઢે છે! સાસુએ જ ઘર શોધી કાઢયું અને બોલ્યા, ‘રવિવારે સામાન ગોઠવીને રહેવા જતાં રહો, પણ ઘડો કોણ મૂકશે?’

આપણા ત્યાં એવી પ્રથા છે કે નવું ઘર શરૂ કરતાં પહેલાં કુંવારિકા પાણીથી ભરેલો ઘડો મૂકે. કુંવારી કન્યાનો હાથ શુકનિયાળ ગણાય, પણ અહીં તો કન્યા છે જ નહીં! પ્રાપ્તિ બોલી, ‘મમ્મી, તમે ઘડો મૂકો. તમારા આશીર્વાદભર્યા હાથ જેવા શુકન બીજા એકે નહીં.’ સાસુ પ્રાપ્તિ પર વારી ગયાં. શુભાશિષ વરસાવતાં એમણે ઘડો મૂકયો. થોડા મહિના પછી દિવાળી આવી. ધનતેરસે સાસુનો ફોન આવ્યો, ‘પ્રાપ્તિ, આજે સાંજે લક્ષ્મીપૂજન કરજે.’

પ્રાપ્તિ મુંઝાઇ. કેવી રીતે કરવાનું લક્ષ્મીપૂજન? કારણ કે એ એવા કુટુંબમાંથી આવતી હતી કે જયાં કોઇ ધાર્મિક અનુષ્ઠાન કે વિધિવિધાન થતાં નહીં, શુકન-મુર્હૂત જોવાતાં નહીં. એના લગ્ન સમયે એના ઘરે નહોતું ગણેશ સ્થાપન કર્યું કે નહોતી ગ્રહશાંતિ કરી. હા, લગ્નનો વિધિ તો સામા પક્ષની ભાવનાનો ખ્યાલ રાખીને જ કર્યોહતો.

બાકી પરંપરાગત કોઇ ક્રિયા નહોતી કરી. પ્રાપ્તિનાં મમ્મી પપ્પા કહેતાં કે, ‘દરેક ઘડી શુભ છે, હૃદયમાં શુભ, મંગળ ભાવ રાખો, શુભ શુભ વિચારો તો બધું કલ્યાણ જ થાય.’

ભાવનાશીલ પ્રાપ્તિ સાસુની ભાવનાને માન આપવા ઇરછતી હતી. તેથી એણે પાંચેક ચલણી સિક્કા લીધા અને ટેબલ પર ગોઠવી બે હાથ જોડી ઈશ્વરસ્મરણ કર્યું. એણે માત્ર પોતાના કુટુંબનું જ નહીં, પણ સમસ્ત જગતનું શુભ મંગલ થાવ, લક્ષ્મીદેવી પ્રસન્ન થાવ એવી પ્રાર્થના કરી.

રાત્રે એનો પતિ જય ઘરે આવ્યો ત્યારે પ્રાપ્તિએ પોતે લક્ષ્મીપૂજન કેવી રીતે કર્યું એ વાત કરી. ત્યારે જય બોલ્યો, ‘તારે મમ્મીને પૂછવું હતું ને કે લક્ષ્મીપૂજન કેવી રીતે થાય? અથવા તો એમને જ કહેવું હતું. આપણા બદલે એમણે કરી નાખ્યું હોત.’

‘જય, પૂજન દરેક ઘરે થવું જોઇએ એટલે મેં કર્યું અને ધાર કે મેં મમ્મીને પૂછ્યું હોત કે લક્ષ્મીપૂજન કેવી રીતે કરવું? તો એ સાંભળીને ક્ષર્ણાધ માટેય એમને આંચકો લાગ્યો હોત કે આ તો કેવી નાસ્તિક છે, લક્ષ્મીપૂજનની રીત નથી જાણતી અને ખરેખર, હું નાસ્તિક નથી.

બાહ્ય વિધિમાં હું માનતી નથી એટલે મને એ રીત કહી હોત તોય પૂરી શ્રદ્ધાથી હું કરી શકી ન હોત એટલે મેં એમને પૂછ્યું નહીં અને ધનતેરસે લક્ષ્મીપૂજનનો મૂળ હેતુ તો લક્ષ્મીદેવીનું સ્મરણ કરીને આશીર્વાદ માગવાનો છે. એ તો મેં પૂરી આસ્થાથી કર્યું છે.’

જયે આવી સાચુકલી, નિખાલસ પત્ની પોતાને મળી એ માટે ઈશ્વરનો આભાર માન્યો. પ્રાપ્તિએ બીજા દિવસે સાસુને મળીને બધી વાત કરી, ત્યારે તેઓ બોલ્યા, ‘તારી વાત સાચી છે, બાહ્ય વિધિ તો હૃદયમાંથી ભાવ પ્રગટે એવું વાતાવરણ ઊભું કરવા માટે છે, પણ હૃદયમાંથી બાહ્ય વિધિ વગર આવો સાત્વિક ભાવ ઉદ્ભવતો હોય તો બીજી ક્રિયાઓની જરૂર નથી.’ પ્રાપ્તિએ આવી સમજદાર સાસુ માટે ગૌરવ અનુભવ્યું.

Wednesday, October 14, 2009

આપ સમાન બળ નહીં

Prashasti Mehta
Saturday, October 03, 2009 20:12 [IST]

અત્યાર સુધી કાલિન્દી દરેક માટે ઘસાઇ હતી, પણ જ્યારે એને જરૂર પડી ત્યારે એની પડખે કોઇ નહોતું. એ સમયે કાલિન્દીને ખ્યાલ આવ્યો કે દુનિયા કેવી છે!



( સપનાની કેડીએ )

રમણીય સંઘ્યા ખીલી છે, ત્યારે હડસન નદીના શાંત કિનારે બેઠેલી કાલિન્દીના અજંપા અને ઉદ્વેગનો પાર નથી. એક જ વાત એના મનને કોરી ખાય છે કે મારાં બધાં સગાં કેમ આવા નઘરોળ અને કૃતધ્ની?



કાલિન્દી અમેરિકન સિટિઝન આશુતોષને પરણીને અમેરિકા આવી. પછી થોડા સમયમાં જ એના ભાઇ નૈષધને સ્ટુડન્ટ વિઝા પર અહીં બોલાવી લીધો હતો. નૈષધને અભ્યાસ, જોબ, લગ્ન, બધા જ પ્રસંગે કાલિન્દીએ ગજા બહારનો ઉપરવટ જઇને સાથસહકાર આપ્યો હતો. કોઇ પણ આશા કે અપેક્ષા વગર કાલિન્દીએ પોતાના ભાઇને મદદ કરી હતી.



પોતાના એકના એક ભાઇનું જીવન સુખમય બને એ માટે કાલિન્દીએ પોતાના ઘણા લાભ જતા કર્યા હતા. એ ભાઇને ત્યાં કાલિન્દી પોતાની બાર વર્ષની દીકરી અમૃતાને માત્ર એક અઠવાડિયા માટે મૂકવા ગઇ, ત્યારે નૈષધે શરમ-સંકોચ વગર કહી દીધું, ‘મારું ઘર અનાથાશ્રમ નથી.’



‘ઓહ, હજી તો હું જીવું છું અને મારો માજણ્યો એકનો એક ભાઇ, મારી દીકરીને અનાથ કહે? ફટ રે, ધૂળ પડી તારા જીવનમાં, નૈષધ.’ કાલિન્દી મનોમન કકળી ઊઠી. એને અને એના પતિને જાપાન જવું પડે એવું હતું. જાપાન ગયેલો કાલિન્દીનો દિયર અચાનક બેભાન થઇ ગયો હતો, કોમામાં સરી પડ્યો હતો. ત્યાંથી એને ખસેડાય એવું ન હતું.



જાપાનની હોસ્પિટલમાં એને દાખલ કર્યો હતો. કાલિન્દી આવી અણધારી કટોકટીના વખતે પતિ સાથે ગયા વગર રહે? કંપની તરફથી વિઝા, ટિકિટ બધાની વ્યવસ્થા તત્કાળ થઇ ગઇ હતી. હવે અમૃતાને પોતાના ઘરમાં એકલી ન રખાય માટે અમૃતાને લઇને કાલિન્દી નૈષધના ઘરે કેટલા વિશ્વાસથી ગઇ હતી, પણ નગુણા ભાઇએ ચોખ્ખી ના કહી દીધી. એક પળ માટેય એને પોતાની બહેનની તકલીફનો ખ્યાલ ન આવ્યો.



કાલિન્દીને યાદ આવ્યું કે નૈષધ લગ્ન પછી શરૂઆતના છ મહિના પત્ની સાથે એના ઘરે જ રહ્યો હતો. આ દેશમાં દરેક કામ અને વસ્તુની કમિંત હોય છે. કોઇના ઘરે મફત ન રહેવાય, પરંતુ વહાલસોયી કાલિન્દીને પૈસાની ગણતરી કદી ફાવી જ નથી, ગમી જ નથી. પૈસા કરતાં હેતભાવ એના માટે વધારે મૂલ્યવાન છે.



જાતથી અને પૈસાથી ઘસારો વેઠવામાં એ કદી પાછી નથી પડી. સાસરી પક્ષેય આવું જ મીંડુ છે. રજાઓમાં એ પોતાની દીકરીને લઇને ક્યાંય પિકનિક, પ્રવાસે જાય તો દેરાણીના બે સંતાનો રૂચિર અને આયેશાને કાયમ લઇ જાય. મોંઘી મોંઘી રાઇડ્સમાં ફેરવે. પિક્ચર કે હોટલમાં જાય ત્યારેય બંનેને લઇ જ જાય. એ દેરાણી રહોડ આઇલેન્ડ ગઇ ત્યારે અમૃતાને નહોતી લઇ ગઇ.



કાલિન્દીના નણદોઇને લોવેલના દવાખાનામાં જોબ મળી, ત્યારે કાલિન્દીએ નણદોઇ, નણંદને આખું વર્ષ પોતાના ત્યાં રાખ્યા હતા. પણ નણંદના હૈયે આભારની કોઇ લાગણી ન હતી. આજ સુધી કાલિન્દી આવી બાબતોને ગૌણ ગણીને ખંખેરી નાખતી. એ કહેતી, ‘જેને જે સૂઝે એમ કરે. હું કોઇનું કામ કરું છું, કોઇની પાસે કરાવતી નથી. મારો હાથ ઉપર રહે છે.’ એ માનતી હતી કે કાકામામાના સંતાનો વારંવાર હળેમળે તો એમની વચ્ચે હેતભાવ બંધાય.



દુ:ખ-સુખમાં આપણાં સગા હોય તો સારુ લાગે. તેથી એ કોઇ સગાંની ટીકા ન કરતી, અવગુણ ન જોતી, પણ આજે એણે અમૃતાને કહ્યું, ‘દીકરી, સૌ સ્વાર્થના સગાં છે, માટે આપણે આપણી અંદર જ તાકાત ઊભી કરવાની. આપ સમાન બળ નહીં. કોઇની પાસેથી કંઇ અપેક્ષા નહીં રાખવાની.’

Monday, October 12, 2009

નિર્બંધ જિંદગીએ સર્જેલી હોનારત

Prashasti Mehta
Monday, October 12, 2009 19:17 [IST]
maheta.jpgછૂટ છે, આ વિકસતિ, સમૃદ્ધ અમેરિકામાં છોકરા-છોકરીને મન મૂકીને હળવા-મળવાની સંપૂર્ણ છૂટ છે. સદાચારના નામે કોઇ પ્રતિબંધ નથી. દીકરી તેર વર્ષની થાય એટલે એના મનપસંદ પાત્ર સાથે એક રાત શું, રાતોની રાતો સ્વેચ્છાએ પસાર કરી શકે છે.

મા-બાપ જો એને રોકે કે ટોકે તો મા-બાપ વિરુદ્ધ ફરિયાદ કરીને એમને આરોપીના પિંજરામાં ખડા કરી શકે છે. વ્યકિતગત સ્વાતંત્ર્યના નામે સંતાનો પોતાના પરંપરાગત સંસ્કાર ભૂલી જાય છે.

આવું જ બન્યું એષા સાથે. ૧૪ વર્ષની એષા ત્રણ વર્ષ પહેલાં એના મા-બાપ અને ભાઇ સાથે કાયમ માટે અમેરિકા વસવા આવી છે. ત્રણ વર્ષના વસવાટે એને અમેરિકન બનાવી દીધી. મા-બાપ કહે એમ નહીં, પણ પોતાનું મન કહે એમ કરતી એ થઇ ગઇ છે. કાચી ઉમર અને અમર્યાદ સ્વતંત્રતા. એષા બહેકી ગઇ. સાહસ અને રોમાન્સના નામે એ નવા અનુભવ કરવા ઉત્સુક રહેતી.

એષા ડીન નામના ૧૯ વર્ષના ઇટાલિયન છોકરાના પરિચયમાં આવી. મુગ્ધાવસ્થા અને વિજાતીય પાત્રનો સંગ, મધુર સ્પંદનો જાગ્યા હશે અને બેઉ બેડરૂમ સુધી ઢસડાઇ ગયા. હવે એષામાં ભારતીય સંયમ અને ચારિત્રના ખ્યાલ જાગી ઊઠયા, પણ એ છટકી શકી નહીં. ડીન માટે કદાચ એ વિજયની ઘડી હશે, પણ એષાનું તો બધું હણાઇ ગયું. ડીને એષાનો ગભરાટ જોઇને ધમકી આપી, ‘હું કંઇ પણ કરી શકું છું. મારી વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારીશ તો તારા વિનાશ માટે તૈયાર રહેજે.’

એષા ઘરે ગઇ. એની મા દીકરીની હાલત જોઇ સમજી ગઇ. એણે પૂછ્યું તો એષા રડી પડતાં બોલી, ‘મારો કોઇ વાંક નથી, કોઇ વાંક નથી.’ મા એને ગાયનેકોલોજીસ્ટ પાસે લઇ ગઇ અને સારવાર લીધી. ડીન હવે મન ફાવે ત્યારે એષાને ફોન કરતો અને એષા ફફડી ઊઠતી. હવે એની કોઇ સલામતી ન હતી. એષાનાં મા-બાપે પોલીસમાં ફરિયાદ કરી.

કેસ ચાલ્યો. ડીન ગુનેગાર ઠર્યો, પણ જજે એને પ્રોબેશન પર છોડયો. જજ મનોચિકિત્સકના મંતવ્યમાં માને છે કે આવા ગુનેગારોને જેલમાં પૂરવા કરતાં છૂટથી હરવા-ફરવા દઇએ, તો એમના મનમાં પરિવર્તન આવે છે. આવેગ અને આવેશથી વર્તવાના બદલે એમનું મન સ્થિર અને દ્દઢ બને છે. સાચા-ખોટાનું વિવેકભાન જાગે છે અને તેઓ સારા નાગરિક બને છે.

એષાનાં મા-બાપ કકળતા હૈયે અને આંસુભર્યા અવાજે આજીજી કરતાં રહ્યાં કે ડીનને છૂટો ના મૂકો, પણ જજે એમનું સાંભળ્યું નહીં. કોર્ટના ઘણા જજ અને મનોચિકિત્સકો આવા પ્રયોગો કરે છે. એ જો કે સફળ નથી થતા અને કંઇકેટલીય મુગ્ધાઓ, કિશોરીઓ, બાલિકાઓ પાયમાલ થઇ જાય છે. છતાં પ્રયોગો બંધ નથી થયા.

એષાએ એક વાર મોલમાં આખલાની જેમ છૂટથી ફરતા ડીનને જોયો અને જાણે એનો શ્વાસ જ થંભી ગયો. મહામહેનતે એની મા એને ઘરે લઇ ગઇ. એષા ભણવામાં પાછળ પડી ગઇ છે. મુકત પંખીની જેમ નાચતી, ગાતી, કૂદતી એષા સાવ કરમાઇ ગઇ છે. એ ઘરમાં એકલી રહી શકતી નથી. સતત ફફડયા કરે છે.

સ્કૂલવાળા કહે છે, ‘એષાને મનોચિકિત્સક પાસે લઇ જાઓ. એના મનને મજબૂત કરવામાં મનોચિકિત્સક એને સહાય કરશે. એષાએ આ આખો બનાવ ભૂલી જવો જોઇએ.’ સ્કૂલવાળાની વર્તણૂક એવી છે કે એષા અને એનાં મા-બાપની નૈતિક હિંમત મરી ગઇ છે. એષા પોતાના જાતને ગુનેગાર માનવા માંડી છે, આપઘાત કરવાની એની મનોવૃત્તિ જોર પકડતી જાય છે