Sunday, October 18, 2009

પ્રાપ્તિએ કર્યું લક્ષ્મીપૂજન

Prashasti Mehta
Saturday, October 17, 2009 20:00 [IST]
ધનતેરસે લક્ષ્મીપૂજન કરવાનું પ્રાપ્તિનાં સાસુએ કહ્યું, ત્યારે એ ઘડી ભર માટે તો વિચારમાં પડી ગઇ. જયારે એનાં સાસુને પ્રાપ્તિએ કરેલા લક્ષ્મીપૂજનની જાણ થઇ ત્યારે એમણે એવું તો શું કહ્યું કે પ્રાપ્તિ અભિભૂત થઇ ગઇ?

prapti.jpgઆગળ અભ્યાસ માટે પ્રાપ્તિએ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. એના ઘરથી યુનિવર્સિટી ઘણી દૂર. વળી, જોબનું સ્થળ એની વિરુદ્ધ દિશામાં. તેથી પ્રાપ્તિનાં સાસુ કહે, ‘યુનિવર્સિટીની નજીક ઘર લઇ લો.

નહીંતર આવવા-જવાનો વખત બગડશે, પ્રાપ્તિ થાકીને લોથ થઇ જશે.’ પ્રાપ્તિ તો નવાઇ જ પામી ગઇ. કોઇ પણ મુશ્કેલીમાં સાસુ કેટલો ઝડપથી અને પ્રેમથી માર્ગ કાઢે છે! સાસુએ જ ઘર શોધી કાઢયું અને બોલ્યા, ‘રવિવારે સામાન ગોઠવીને રહેવા જતાં રહો, પણ ઘડો કોણ મૂકશે?’

આપણા ત્યાં એવી પ્રથા છે કે નવું ઘર શરૂ કરતાં પહેલાં કુંવારિકા પાણીથી ભરેલો ઘડો મૂકે. કુંવારી કન્યાનો હાથ શુકનિયાળ ગણાય, પણ અહીં તો કન્યા છે જ નહીં! પ્રાપ્તિ બોલી, ‘મમ્મી, તમે ઘડો મૂકો. તમારા આશીર્વાદભર્યા હાથ જેવા શુકન બીજા એકે નહીં.’ સાસુ પ્રાપ્તિ પર વારી ગયાં. શુભાશિષ વરસાવતાં એમણે ઘડો મૂકયો. થોડા મહિના પછી દિવાળી આવી. ધનતેરસે સાસુનો ફોન આવ્યો, ‘પ્રાપ્તિ, આજે સાંજે લક્ષ્મીપૂજન કરજે.’

પ્રાપ્તિ મુંઝાઇ. કેવી રીતે કરવાનું લક્ષ્મીપૂજન? કારણ કે એ એવા કુટુંબમાંથી આવતી હતી કે જયાં કોઇ ધાર્મિક અનુષ્ઠાન કે વિધિવિધાન થતાં નહીં, શુકન-મુર્હૂત જોવાતાં નહીં. એના લગ્ન સમયે એના ઘરે નહોતું ગણેશ સ્થાપન કર્યું કે નહોતી ગ્રહશાંતિ કરી. હા, લગ્નનો વિધિ તો સામા પક્ષની ભાવનાનો ખ્યાલ રાખીને જ કર્યોહતો.

બાકી પરંપરાગત કોઇ ક્રિયા નહોતી કરી. પ્રાપ્તિનાં મમ્મી પપ્પા કહેતાં કે, ‘દરેક ઘડી શુભ છે, હૃદયમાં શુભ, મંગળ ભાવ રાખો, શુભ શુભ વિચારો તો બધું કલ્યાણ જ થાય.’

ભાવનાશીલ પ્રાપ્તિ સાસુની ભાવનાને માન આપવા ઇરછતી હતી. તેથી એણે પાંચેક ચલણી સિક્કા લીધા અને ટેબલ પર ગોઠવી બે હાથ જોડી ઈશ્વરસ્મરણ કર્યું. એણે માત્ર પોતાના કુટુંબનું જ નહીં, પણ સમસ્ત જગતનું શુભ મંગલ થાવ, લક્ષ્મીદેવી પ્રસન્ન થાવ એવી પ્રાર્થના કરી.

રાત્રે એનો પતિ જય ઘરે આવ્યો ત્યારે પ્રાપ્તિએ પોતે લક્ષ્મીપૂજન કેવી રીતે કર્યું એ વાત કરી. ત્યારે જય બોલ્યો, ‘તારે મમ્મીને પૂછવું હતું ને કે લક્ષ્મીપૂજન કેવી રીતે થાય? અથવા તો એમને જ કહેવું હતું. આપણા બદલે એમણે કરી નાખ્યું હોત.’

‘જય, પૂજન દરેક ઘરે થવું જોઇએ એટલે મેં કર્યું અને ધાર કે મેં મમ્મીને પૂછ્યું હોત કે લક્ષ્મીપૂજન કેવી રીતે કરવું? તો એ સાંભળીને ક્ષર્ણાધ માટેય એમને આંચકો લાગ્યો હોત કે આ તો કેવી નાસ્તિક છે, લક્ષ્મીપૂજનની રીત નથી જાણતી અને ખરેખર, હું નાસ્તિક નથી.

બાહ્ય વિધિમાં હું માનતી નથી એટલે મને એ રીત કહી હોત તોય પૂરી શ્રદ્ધાથી હું કરી શકી ન હોત એટલે મેં એમને પૂછ્યું નહીં અને ધનતેરસે લક્ષ્મીપૂજનનો મૂળ હેતુ તો લક્ષ્મીદેવીનું સ્મરણ કરીને આશીર્વાદ માગવાનો છે. એ તો મેં પૂરી આસ્થાથી કર્યું છે.’

જયે આવી સાચુકલી, નિખાલસ પત્ની પોતાને મળી એ માટે ઈશ્વરનો આભાર માન્યો. પ્રાપ્તિએ બીજા દિવસે સાસુને મળીને બધી વાત કરી, ત્યારે તેઓ બોલ્યા, ‘તારી વાત સાચી છે, બાહ્ય વિધિ તો હૃદયમાંથી ભાવ પ્રગટે એવું વાતાવરણ ઊભું કરવા માટે છે, પણ હૃદયમાંથી બાહ્ય વિધિ વગર આવો સાત્વિક ભાવ ઉદ્ભવતો હોય તો બીજી ક્રિયાઓની જરૂર નથી.’ પ્રાપ્તિએ આવી સમજદાર સાસુ માટે ગૌરવ અનુભવ્યું.

No comments:

Post a Comment