Tuesday, August 18, 2009

જીવનના અંતે તો સમાજને કંઇક આપી જાઉ

જીવનના અંતે તો સમાજને કંઇક આપી જાઉ

Prashasti Mehta
Tuesday, August 18, 2009 22:13 [IST]
Bookmark and Share
mehta.jpgપ્રબુદ્ધભાઇએ બોસ્ટન ગ્લોબમાં કિલનિકલ રિસર્ચ નામની એક જાહેરખબર જોઇ. એ કંપનીને એમણે બનાવેલી દવાની ગુણવત્તા પારખવા એક તંદુરસ્ત માણસ કે જે બીજી કોઇ દવા ના લેતો હોય એની જરૂર હતી. આ પ્રયોગ, પરીક્ષણ માટે તેઓ દસ હજાર ડોલર એ માણસને આપવાની હતી, પણ એ માણસે એ કંપનીના નર્સિંગ હોમમાં દાખલ થવું પડે અને રાત દિવસ એમના ફાર્માસસ્ટિની નજર હેઠળ રહેવું પડે.

પ્રબુદ્ધભાઇએ ‘બોડી હંર્ટસ’ નામના પુસ્તકમાં વાંચ્યું હતું કે દવાની કંપનીઓ એમની નવી શોધાયેલી દવાના પ્રયોગ માટે ગરીબ લોકોનું શરીર ભાડે લે છે. આવી દવાઓની અસર સ્વાસ્થ્ય માટે જોખમરૂપ પણ નીવડી શકે અને કયારેક જીવલેણ પણ પૂરવાર થાય છે. થોડાક ડોલર માટે થઇને માણસનું અમૂલ્ય જીવન નષ્ટ થઇ જાય છે.

આ બધું જાણતા હતા છતાં પ્રબુદ્ધભાઇને પોતાનું શરીર પ્રયોગ માટે ધરી દેવાનું મન થયું. પ્રબુદ્ધભાઇ ઢળતી અવસ્થાએ અમેરિકા સેટલ થવા આવ્યા હતા. એમના જીવનની બધી જવાબદારીઓ પૂરી થઇ ગઇ હતી. એમની કોઇ આશા, અભિલાષા વણસંતોષાયેલી નહોતી રહી.

તેઓ અમેરિકામાં લગભગ નિષ્ક્રિય, પ્રવૃત્તિહીન જીવન ગાળતા હતા. એમને થયું, હું મારું પેટ ભરવા સિવાય અત્યારે કોઇ ઉધમ કરતો નથી. હું કોઇ જવાબદારીનું વહન કરતો નથી, ભવિષ્યમાં પણ મારા માટે કોઇ પ્રોજેકટ નિર્માણ થયો નથી. સવારથી સાંજ છાપાં વાંચું છું અને ટીવી જોઉ છું.

જિંદગીમાં કદીય આવી નિષ્ક્રિયતામાં દિવસો પસાર નથી કર્યા, તેથી મન ઉદાસ થઇ જાય છે અને અત્યારે મારી સામે આ એક કામ આવ્યું છે તો શું કામ એ હું હાથ પર ના લઉ?’ પ્રબુદ્ધભાઇ એમના દીકરા સાથે રહેતા હતા. એમણે દીકરાને આ અંગે વાત કરી તો દીકરાએ ઘસીને ના પાડી અને કહ્યું, ‘પપ્પા, તમે ડોલર માટે તમારી જાત દાવ પર લગાવો છો.’

‘બેટા, મને ડોલરનો કોઇ મોહ નથી, પણ મારી દ્દષ્ટિએ આ માનવતાનું કામ છે. હું તને કંઇ કામમાં આવતો નથી, તો દવાના પ્રયોગ માટે શું કામ હું મારું શરીર ના ધરી દઉ? કોઇકે તો પોતાનું શરીર ધરવું પડશે ને! તો નવી નવી દવાઓ શોધાશે અને માણસ રોગમુકત થશે.’‘પણ પપ્પા, આમાં તો તમારું જીવન જોખમમાં મૂકાઇ જાય. ના, હું તમને નહીં જવા દઉ.’

‘બેટા, કેટલાય વ્યવસાયો એવા હોય છે જેમાં જીવનું જોખમ હોય જ છે. પોલીસ, પાઇલટ, નેવીમાં કેપ્ટન, લશ્કરનો જવાન બધા જયારે એમના ખાતામાં જોડાય છે ત્યારે એમને ખબર હોય છે કે ગમે ત્યારે મોત સામે આવીને ઊભું થઇ જવાનું છે, તોય એ ડરતા નથી. એ તો યુવાન હોય છે, આખી જિંદગી એમની સામે પડી હોય છે, સંસાર પણ ભોગવ્યો નથી હોતો.

જયારે મેં તો જિંદગી ભરપૂર માણી છે. હવે આ એક નવો અનુભવ લેવાનું મન થયું છે. દીકરા આજ સુધી હું મારા અને મારા કુટુંબ માટે જીવ્યો, પણ મેં સમાજને શું આપ્યું? આજે મને એક તક મળી છે સમાજની ઉજજવળ, સલામત, નિરોગી આવતી કાલ માટે કંઇક કરવાની. તો મને સાહસ કરવા દે, કદાચ મારે જિંદગી ગુમાવવાની વેળા આવશે તો પણ પરમ સંતોષથી હું મરીશ.’

Sunday, August 16, 2009

તારું રક્ષણ તારે જ કરવાનું છે

તારું રક્ષણ તારે જ કરવાનું છે
Prashasti Mehta
[Photo]કોમ્પ્યૂટર એન્જિનિયર ધારીતા કંઇ કેટલાય રંગીન સ્વપ્ના અને અરમાન હૈયામાં ભરી ઋજુલ સાથે લગ્ન કરીને અમેરિકા આવી. સંયુકત કુટુંબ હતું, દરેક જણ જોબ કરે એટલે દરેકની જિંદગી દોડાદોડભરી હતી.

ધારીતાના મનમાં એક આદર્શ હતો, કે કુટુંબમાં દરેકની હું સ્નેહભરી ખૂબ કાળજી લઇશ, આદરમાનથી દરેકને સાચવીશ અને ઘરને સુખથી ભરી દઇશ. પણ આ શું? આ કુટુંબમાં કોઇને સ્નેહ કે આદરમાનનું તો મૂલ્ય નથી! એકબીજાની ઉપેક્ષા અને અવગણના કરવામાં જ દરેક જણ રાચે છે.

મહેણાં-ટોણાંથી વાતાવરણ ખદબદતું જ હોય. એમાં સૌથી વધારે ત્રાસ ભોગવે છે, ધારીતા. સ્વાર્થી અને ગુમાની સાસરિયાંના વાણી કે વર્તનમાં કયાંય મીઠાશનો અંશ નથી. ધારીતા જેમ જેમ નમ્રતા અને સમતા દાખવે છે તેમ તેમ એનું વધારે શોષણ થાય.

ધારીતા હેબતાઇ ગઇ. ‘આ શું? એકવીસમી સદીના બદલે હું ચૌદમી સદીમાં તો નથી આવી ગઇ ને, જયાં સ્ત્રી અને પશુ મારઝૂડ માટે સમાન પાત્ર ગણાતા હતા.’ ધારીતા થથરી ઊઠી, ‘હું શું કરું? કોને કહું? મારી માને કહું તો એ તો રડવા જ માંડે અને પપ્પા ગુસ્સાથી બહાવરા બનીને બોલી ઊઠે, ‘દીકરી તું પાછી આવી જા.’ અને મારે મારો સંસાર ભાંગવો નથી.’

એને વિદાય કરતી વખતે એની મમ્મીએ કહ્યું હતું, ‘દીકરી, અમે તને ખૂબ લાડમાં ઉછેરી છે, તે જે માગ્યું એ બધું આપ્યું છે, પણ હવે કદાચ એવું નહીં થાય. તારે મન મારવું પડશે, કડવા ઘૂંટડા ભરવા પડશે, પણ એ માટે તું કોઇને દોષી ના માનીશ. કોઇના પ્રત્યે ગુસ્સો કે રોષ ના રાખીશ. તારા વાણી-વર્તનમાંથી વિવેક અને મર્યાદાની કદી બાદબાકી ના કરીશ.’

માની શિખામણ યાદ કરીને ધારીતા બધા પ્રકારનો દુર્વ્યવહાર ચૂપચાપ સહન કરતી. એનું આરોગ્ય કથળ્યું. એક વખત એના પપ્પાના મિત્ર મળવા આવ્યા. ધારીતાનો નિસ્તેજ ચહેરો અને દૂબળું શરીર જોઇ આઘાત પામ્યા. એ કાકાએ ખૂબ પૂછ્યું, ત્યારે ધારીતા બોલી, ‘કાકા, મને ફરિયાદ કરવી કે રોદણાં રડવા નથી ગમતાં, પણ મને કંઇ સમજાતું નથી. મારા જ્ઞાન, સંસ્કારની કંઇ કમિંત નથી.’ ‘કમિંત નથી તો કમિંત કરાવતાં તને આવડવું જોઇએ.’ કાકા બોલ્યા.

‘એ શી રીતે? હું એમની સાથે ઝઘડો કરું? હું એવી નીચલી કક્ષાએ ઊતરી જાઉ?’ ‘ના દીકરી, પણ તને બુદ્ધ ભગવાનવાળી પેલી વાત ખબર છે ને? ચંડકૌશિક નાગ નમ્ર બની ગયો, તો બધા એના પર પ્રહાર કરવા માંડયા.

એ લોહીલુહાણ થઇ મરવા પડયો, ત્યારે ભગવાને એને કહ્યું કે તું ડંખ ના મારે પણ ફૂંફાડો તો મારી શકે! ધારીતા, તારી સૌજન્યતા જેને ના સમજાય એને એની ભાષામાં સમજાવવા જેટલી કુનેહ, આવડત તારામાં જોઇએ, નહીં તો તું પાયમાલ થઇ જઇશ. માટે પ્રભાવશાળી બન.

Monday, August 10, 2009

મમ્મીના પ્રેમીને સાચવતી દીકરી

પિતાના પ્રેમથી વંચિત પુત્રીને જો માતાના પ્રેમી તરફથી એ ભાવ, લાગણી મળી રહે તો જીવનના ઉત્તરાર્ધમાં એમને સાચવવાની પોતાની પણ ફરજ બની રહે છે

mummy.jpgપોતાના ટૂંકા પગારમાંથી ડોલી પાંચસો ડોલર એના અંકલને ઇન્ડિયા મોકલે છે, અંકલ એટલે કોણ? એના કાકા? એના મામા? એના ફૂઆ કે માસા? ના, આ અંકલ એના સગા નથી. આ અંકલ તો છે એની મમ્મીના લવર.

ડોલી આ અંકલની દીકરી નથી. ડોલીના પપ્પા તો વર્ષો પહેલાં કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. ડોલી ત્યારે પાંચ વર્ષની અને એનો ભાઇ શ્રીરાજ બે વર્ષનો હતો. ત્યાર પછી એની મમ્મીને આ અંકલનો સથવારો મળેલો. અંકલનો સ્વભાવ ખૂબ પ્રેમાળ અને ઉષ્મા ભર્યો. એમણે ડોલીના મમ્મીને ખૂબ સાચવેલા. અત્યારે તો ડોલીની મમ્મી અવસાન પામી છે અને અંકલ પણ વૃદ્ધ થયા છે.

એ અમદાવાદના કોઇ ફલેટમાં એકાંકી જીવન ગાળે છે. ડોલી અમેરિકામાં વસી છે, પણ એ અંકલને આંતરેદિવસે કોલ કરે છે અને કહે છે કે તમે જરાય અગવડ ના ભોગવશો. આનંદથી રહેજો.

ડોલીએ અંકલને કાર લઇ આપી છે ને ડ્રાઇવર પણ રાખી આપ્યો છે. તત્વા અકળામણથી ડોલીને પૂછે છે, ‘તું અહીં તંગી ભોગવે છે અને અંકલ ત્યાં મોજથી રહે છે. એમને કયાં ખબર છે કે એમને ડોલર મોકલવા તું બબ્બે જોબ કરીને તૂટી મરે છે. તું કેટલી તકલીફ વેઠે છે.

અંકલ પોતે કેમ કોઇ કામ નથી કરતાં?’ ‘તત્વા, આ ઉમરે અંકલ શું કામ કરે? હું જાતે એમની સેવા નથી કરી શકતી, પણ શકય એટલા એમને ચિંતામુકત તો રાખી શકું.’ ‘તારું એમણે શું હિત જોયું છે? એ તમારા ઘરમાં તમારી સાથે રહેતા હતા તેથી સમાજમાં બદનામી થઇ એટલે તો તારા લગ્ન ન થયા. છતાં તું એમને કેમ આટલા સાચવે છે?’

‘કારણ કે એ મારી મમ્મીનો પ્રથમ પ્રેમ છે. મારી મમ્મી એમને પરણવા પ્રાણપણે ઝંખતી હતી, પણ મારા નાનાજી નહોતા ઇચ્છતા, તેથી આ અંકલે એમના પ્રેમના સોગંદ ખાઇને મારી મમ્મીને નાનાજીની ઇરછા મુજબ પરણવા કહ્યું હતું. મારો અને મારા ભાઇનો જન્મ થયો પછી મારા પપ્પાનું કેન્સરમાં મૃત્યુ થયું.

પપ્પાની સારવારમાં મમ્મીએ બધી બચત વાપરી નાખી હતી. ખાલી હાથે મમ્મી અમને લઇને નાનાજીના ઘરે પાછી આવી. આઘાતના લીધે નાનાજી અને એમની પાછળ નાનીમા પણ મૃત્યુ પામ્યા. મમ્મી સાવ નોધારી અને એકલવાયી થઇ ગઇ. ત્યારે આ અંકલે અમારું પોષણ કર્યું અને લાડથી સાચવ્યા હતા.’

‘તો તારી મમ્મી એમને પરણી કેમ ન ગઇ?’ ‘કારણ કે મારા નાનાજીએ એક વાર નામરજી બતાવી હતી, એ વાતને તેઓ વળગી રહ્યાં.’ ‘તો લગ્ન વગર તેઓ સંબંધ રાખતા હતા?’ ‘બેઉ તાદાત્મ્ય અનુભવતા હતા, પણ પતિ-પત્નીનો સંબંધ ન હતો.’ ‘છતાં તમારી કેટલી બદનામી થઇ. તેં શું સુખ ભોગવ્યું?’

‘મારી મમ્મી અને અંકલે શું સુખ ભોગવ્યું છે? સમાજે એમને અપમાનિત જ કર્યા છે.’ ‘તો ય એમને અન્યોન્યનો સાથ તો મળ્યો હતો ને! જયારે તું સાવ એકાકી, સાથીવિહીન.’ ‘તત્વા, હું એકાંકી નથી, મારો સાથી છે. મારો સાથી લોહીમાંસનું જીવતોજાગતો માણસ નથી, પણ મારી કલ્પનાનો રાજકુમાર છે. રાતદિવસ એની સાથે મારો સંવાદ ચાલતો જ હોય છે. તેથી મારું હૈયું ભર્યુંભર્યું છે.’

દીકરા, ઊગતા સૂર્ય તરફ મીટ માંડ

વિદેશ જતા સંતાનોનો ઉત્સાહ અને તેમને હસીને વિદાય કરતા માતાપિતાના મનમાં ધરબાયેલા દર્દની દાસ્તાન

old-couple.jpgમયંકભાઇનો દીકરો પ્રત્યૂષ પરદેશ સેટલ થવાનો છે એ સાંભળી એમના મિત્ર સુબંધુભાઇ બોલી ઊઠયા, ‘અહીં પ્રત્યૂષને શું ખોટ છે કે પરદેશ જાય છે?’‘ત્યાં એને વધારે સારો ચાન્સ મળે છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અહીં વર્ષે ૨૫ લાખ તો એને મળે છે, ઉપરાંત બીજી સગવડો, આનાથી કયો મોટો ચાન્સ જોઇએ છે?’ ‘ચાન્સ એટલે માત્ર પૈસા નહીં પણ એને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા મળે.

એનો વિકાસ થાય અને સાથે સાથે એને કઇંક નવું ‘શીખવાનું મળે.’ ‘શીખવાનું હતું એટલું તો શીખી લીધું છે એટલે તો આટલી ઊચી પોસ્ટ પર છે, હવે શું શીખવાનું બાકી છે?’ ‘સુબંધુભાઇ, શીખવાની પ્રક્રિયા આખી જિંદગી ચાલ્યા જ કરે છે, નવા નવા પડકારો ઊભા થાય ને એને પહોંચી વળવાની મજા કંઇ ઓર છે.’ મયંકભાઇ બોલ્યા. ‘અને તમે બે અહીં એકલા રહેશો?’ તુચ્છકારથી સુબંધુભાઇએ કહ્યું.

એટલામાં મયંકભાઇના પત્ની શોભનાબહેન બોલ્યાં, ‘સુબંધુભાઇ, તમે જે કહો છો એ તમારી અમારા માટેની લાગણી છે, પરંતુ આ બદલાતા સમયને સમજવો જોઇએ. આ સ્પર્ધાના સમયમાં જેની પાસે ટેલેન્ટ હોય એ આગળ વધવા ઇરછે, આ નવી પેઢી તો આકાશનીય પેલે પાર જવાના મનસુબા સેવે છે, આપણું આ આકાશ એને નાનું પડે છે, એ ઊચે ને ઊચે ઊડવા ચાહે છે તો આપણે એને સાથ અને સહકાર જ આપવાનો.’ ‘એ આકાશમાં ઊડે ને તમે અહીં એકલતામાં સબડયા કરશો? તમને એકલા મૂકીને જવાનો નિર્ણય શી રીતે કરી શકે?’ ‘એણે અમને પૂછ્યું હતું. અમને છોડીને જતાં અચકાતો હતો ત્યારે અમે કહ્યું હતું કે તું ખુશીથી જા. અમે બધું મેનેજ કરી શકીશું. ’

‘મન મનાવવાની વાતો ના કરો મયંક, તારી ઉમર સાઇઠ ઉપરની થઇ, નિરાંતે બેસવાના દિવસો છે ત્યારે દોડાદોડી કરશો?’ ‘જિંદગીના પ્રારંભે હતા એટલા જ આનંદ ઉત્સાહ અત્યારે છે. અમે લાઇબ્રેરી જઇએ છીએ, વાંચીએ છીએ, અમારા રસના પુસ્તકો ઘરમાં છે, ખુશ રહીએ છીએ. અંદરથી જાણે અમે સમૃદ્ધ છીએ. અમે રોજ કસરત કરીએ છીએ જેથી શરીર, મન નિરોગી રહે.’ શોભનાબહેન બોલ્યાં.

‘ભાભી, આ બધું તમારું શાણપણ અકબંધ રહે એવું હું ઇચ્છું, પણ દીકરો, વહુ ને એનાં છોકરાં ઘર છોડીને જશે ત્યારે રડવાનું શરૂ થઇ જશે.’ ‘સુબંધુભાઇ, અમે નહીં રડીએ. હા, આંખ જરૂર ભીની થશે. અમે રડીએ તો દીકરો વહુ ઢીલાં પડી જાય. દીકરો અપરાધભાવ અનુભવે. દીકરા તરીકે ફરજ બજાવવામાં પોતે ઉણો ઊતર્યોછે, આવા વિચારથી એનું મન કોચવાયા કરે તો એ સંપૂર્ણ મનથી ત્યાં રહી ના શકે, એકાગ્રતાથી એની જોબ ના કરી શકે.

આવું બધું શું કામ થવા દેવાનું? આપણે દીકરાનાં મા-બાપ છીએ. એ નાનો હતો ત્યારે એની નાનામાં નાની ખુશીનો આપણે ખ્યાલ રાખ્યો છે અને અત્યારે એ દુભાય એવું શું કામ કરવાનું? આપણે એની પ્રગતિના આડે કદી નહીં આવવાનું.’ નક્કી કરેલા દિવસે પ્રત્યૂષ એના કુટુંબ સાથે પરદેશ ગયો ત્યાર પછી મયંકભાઇ અને શોભનાબહેન થોડાક ઉદાસ તો થઇ જતાં પણ તરત તેઓ સભાનપણે ઉદાસીનતાને ભગાડી મૂકતાં, અને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતાં.

પ્રત્યૂષ ફોન કરે ત્યારે કહેતો, ‘મમ્મી, પપ્પા હું તમને મીસ કરું છું. મને આ જુદાઇ બહુ કઠે છે. મને તમારી ચિંતા થાય છે.’ ‘ઓ બેટા એવા રોતલ નહીં થવાનું, તું નકારાત્કમક વિચાર કરીશ તો તારું મન નિર્બળ થઇ જશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તું ચમકે એનો આનંદ અમને બહુ છે.

તું તારી સિદ્ધિઓનું લિસ્ટ બનાવ તારે શું છોડવું પડ્યું છે એનું નહીં. તારી નજર તારા ભવિષ્ય તરફ હોવી જોઇએ. દીકરા, આપણે તો નસીબદાર છીએ, જોને ટેલિફોન તથા ઇન્ટરનેટથી આપણે એકબીજાનો સંપર્ક કરી શકીએ છીએ બેટા, આપણે બધાંએ એકલાં રહેતાં શીખવું જ જોઇએ. રોદણાં નહીં રડવાનાં પણ જિંદગીને શ્રેષ્ઠ રૂપરંગ આપવા પ્રયાસ કરવાનો.’

આપણા દીકરાને આપણે જ ઉછેરીશું

સંતાનને જન્મ આપ્યા પછી ઉછેરવા માટે બેબીસીટરને સોંપી દેનારા માતા-પિતા કયારેય એ કેમ નહીં વિચારતાં હોય કે સંતાનનું ચારિત્ર્યઘડતર એમનાથી વધારે સારી રીતે કોણ કરી શકે?

child.jpgઅચ્યુતાને દીકરો આવ્યો. રજાઓ પૂરી થતાં એને જોબ પર જવાનો દિવસ આવ્યો ત્યારે પ્રશ્ન ઊઠયો, ‘મારા દીકરાને કોની પાસે મૂકીને હું જોબ કરવા જઇશ?’અરયુતા જોબ છોડી દે તો નિરંતરના પગારથી ઘર તો ચાલે, બચત ના થાય. હજી તો કેટલાય સાધન-સુવિધાઓ ખરીદવાં છે તેથી જોબ તો કરવી જ પડે. એના મનમાં ભાંજગડ ચાલે છે કે બેબીસીટિંગમાં તો બરાબર કાળજી લેવાતી નથી. એને મેથ્યુનો કિસ્સો યાદ આવી ગયો.

ડોકટર દંપતીએ એમના દીકરા મેથ્યુને સાચવવા વૂડવર્ડ નામની છોકરીને રાખી હતી. એ છોકરીથી મેથ્યુ પડી ગયો અને એની ખોપરીને ઇજા થઇ. મેથ્યુ કોમામાં સરી પડયો. કેટલી ટ્રીટમેન્ટ આપી, પણ એ બરયો નહીં. આ કિસ્સો યાદ આવતાં અરયુતાએ નિરંતરને કહ્યું, ‘હું દીકરાને બેબીસીટર પાસે નહીં મૂકું.’

નિરંતરે કહ્યું, ‘તો દીકરાને ઇન્ડિયા મોકલી દઇશું? ‘ના, એ મારી નજર સમક્ષ જ રહેશે. એને ઉછેરવા બીજાને સોંપી દઉ તો મા બન્યાનો અર્થ શું?’ ‘તો તું જોબ છોડી દે.’ નિરંતરે કહ્યું. ‘ના, હું ત્રીજી પાળીમાં એટલે કે નાઇટ શિફટમાં જોબ કરીશ.

તું દિવસે જોબ કરવા જઇશ ત્યારે હું એને સાચવીશ અને હું જાઉ ત્યારે તારે સાચવવાનો.’ ‘અરયુતા, રાત્રે તો એ સૂઇ રહેશે એટલે મને ખાસ તકલીફ નહીં પડે, પણ તું રાત આખી જોબ કરે ને દિવસે એને સાચવવાની તકલીફ તું વેઠી શકીશ? સતત મહિનાઓ અને વરસો સુધી ચાલતી આ પ્રક્રિયા છે. જોબ પર તું પહેલા કલાકે તું જેટલી ફ્રેશ હોય એટલી છેલ્લા કલાક સુધી રહી શકીશ? આ અમેરિકા છે. છૂટા કરી દેશે. કામમાં શિથિલતા સહન નહીં કરે.’

‘તું ચિંતા ના કર, હું પહોંચી વળીશ.’ અરયુતાએ જવાબ આપ્યો અને ખરેખર એ દીકરાને સાચવતી અને જોબ પણ કરતી. એક વાર નિરંતરે અરયુતાને પૂછ્યું, ‘કયાંથી આવે છે તારામાં આટલી તાકાત?’ ‘મારી મમ્મી પાસેથી. એણે મને કે.જી.માં મૂકી જ નહોતી. એણે એક ડાયરી રાખી હતી, એમાં રોજનો મારો પ્રોગ્રેસ લખતી. નિરંતર, સંતાનને આપણે જન્મ આપીએ પણ એનું યોગ્ય ઘડતર કરીએ તો જ એ સમાજમાં એની જગ્યા કરી શકે.

ગમે તે તકલીફમાં એ ડરે નહીં, આત્મવિશ્વાસ ન ગુમાવે.’ નિરંતર બોલ્યો, ‘અરયુતા, તારી વાત સાચી છે, પણ હું તો વર્ષોવીતવા સાથે મોટો થઇ ગયો છું. ભણ્યો પણ એ રીતે જ.’ અરયુતા પ્રેમથી બોલી, ‘તારામાં વિવેકભાન હોવાથી તું કંઇક બની શકયો છે. ભણતર અને ટેક્નિકલ જ્ઞાન એ સ્કૂલ કોલેજમાંથી મેળવશે પણ ચારિત્ર્યઘડતર તો આપણા હાથે જ થવું જોઇએ.’ ‘ચોક્કસ, તું દીકરાને અને મનેય સાથે કેળવજે.’ નિરંતર ઉત્સાહથી બોલ્યો.

આધુનિક યુવતીની તાસીર

આધુનિક યુવતીની તાસીર
Bookmark and Share
Prashasti Mehta
Saturday, July 04, 2009 19:35 [IST]

sapna-ni-kedi.jpg
વૈદેહી અને પારિજાત બાલમંદિરથી ગ્રેજયુએશન સુધી સાથે ભણ્યાં. બંને કલાકો સુધી સાથે બેસીને ચર્ચા કરતાં. તેમના વિચારો અને આકાંક્ષા સમાન હતાં. બેઉને અન્યોન્યનો સંગ ગમતો. વૈદેહીને હતું કે પારિજાત એની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશે, પણ પારિજાત તો કયારેય લગ્નની વાત ઉરચારતો નહીં.
આધુનિક વૈદેહીને થયું, ‘રૂઢિચુસ્ત યુવતીની જેમ પારિજાતના પ્રસ્તાવની રાહ જોઇને હું શું કામ બેસી રહું? એના સમક્ષ મારા હૃદય-મનની વાત કહેવામાં સંકોચ શાનો? અને એ પણ મારી જેમ જ વિચારતો હશે ને!’ આત્મવિશ્વાસથી ભરપૂર વૈદેહીએ સામેથી જયારે લગ્નની વાત છેડી,ત્યારે પળભર વિચારમાં પડી ગયા પછી પારિજાત બોલ્યો, ‘મારે મારા મમ્મી-પપ્પાને પૂછવું પડે.’
આ સાંભળીને વૈદેહીને એક આંચકો લાગ્યો. આજ સુધી મુકત મને સાથે વિચરતી વખતે મમ્મી-પપ્પાને પૂછવું ન પડયું અને નિર્ણય કરતી વખતે મમ્મી-પપ્પાને પૂછવાનું? એણે ગુસ્સાભર્યા સ્વરે પૂછ્યું, ‘પરણવાનું તારે અને નિર્ણય એ લોકો કરે? તું માત્ર એમના હાથનો ઢીંગલો છે? મૈત્રી બાંધતાં પહેલાં તેં એમને પૂછ્યું નહોતું? કેમ નહોતું પૂછ્યું?’
‘તું ગમે તે કહે પણ અમારા ઘર- કુટુંબમાં મહત્વના નિર્ણયો વડીલો જ લે એવી પ્રથા છે. લગ્ન જેવી બાબતમાં મારે એમની ઈચ્છાને આદેશ ગણીને અનુસરવાનું છે અને હું એ સાથે સંમત છું.’ પારિજાતે કહ્યું. ‘પણ આપણા આટલા વર્ષની ગાઢ પ્રેમભરી મૈત્રી, આપણે એકબીજાને કેટલાં સમજીએ છીએ, આપણે પતિ-પત્ની બનવા જ સર્જાયા છીએ. પારિજાત, તું એ વાતને શી રીતે અવગણી શકે?’
‘વૈદેહી, તારી લાગણી હું સમજી શકું છું. તેમ છતાં મારા ઘરમાં જે રૂઢિચુસ્ત વાતાવરણ છે એ પ્રમાણે જીવવા હું બંધાયેલો છું. હું નિખાલસતાથી કબૂલ કરું છું કે મારા જીવનમાં મારા મમ્મી-પપ્પાની ઈચ્છા જ સર્વોપરિ રહેશે. હું કયાંય કદી વિરોધ નહીં કરું. ’
વૈદેહી ગુસ્સાથી બોલી, ‘એટલે તારામાં વર્ષોથી ચાલી આવતી જડ પરંપરા તોડવાનું સાહસ નથી? તારો આટલો બૌદ્ધિક વિકાસ, તારું જ્ઞાન, તારી ભાવના બધું જ તું એળે જવા દઇશ? ઓ પારિજાત, તો પછી આજ સુધી તેં મારી સાથે જે ચર્ચાઓ કરી, સ્વપ્ના સેવ્યાં, તેનું શું?
તેં મારી લાગણીઓ સાથે રમત કેમ કરી? કેટલી બધી બાબતોમાં તું મારી સાથે ઐકય દર્શાવતો હતો, તે શું છલના હતી? પારિજાત, તેં મને છેતરી છે, તે સાથે તું તારી જાતને પણ કદાચ છેતરી રહ્યો છે. પારિજાત, તું તારી જાતને, તારી લાગણીઓને કદાચ સમજી શકયો નથી અથવા તો સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની હામ તારામાં નથી. તારા જીવનનું હિત અને વિકાસ શેમાં છે એ વિચારવાની તારામાં શકિત નથી. તારામાં ખમીર નથી, ખુમારી નથી.
ગુડ બાય, મિ. પારિજાત. મારે તારા જેવો કાયર જીવનસાથી નથી જોઇતો. જેનામાં હિંમત નથી એવા તને હું કેમ કરીને પહેલા સમજી ન શકી? આભાર કે તેં તારું નમાલાપણું અત્યારે જ બતાવી દીધું. મારે જેનું સ્વતંત્ર વ્યક્તિત્વ ન હોય અવા પાત્ર સાથે જીવન જોડવું નથી. લગ્નનો પ્રસ્તાવ હું પાછો ખેંચી લઉ છું. હવે મારો સંપર્ક કરવાની કોશિશ ન કરીશ.’ કહીને વૈદેહી ચાલતી થઇ.
આધુનિક જમાનામાં પણ પારિજાત જેવા યુવકો મળી આવે છે, જેઓમાં પોતાને યોગ્ય લાગે એ કરવાની હિંમત નથી, નીડરતા નથી. વૈદેહી જેવી પરિપકવ, પ્રતિભાવાન યુવતીને પારિજાત જેવો જીવનસાથી પસંદ ન પડે એ સ્વાભાવિક છે. પોતાની વિચારસરણી મુજબ સ્વતંત્ર રીતે જીવવા જેટલી માનસિક ક્ષિતિજો જેની ખુલી નથી અને બાપદાદા જીવતા હતા તે રીતે જ મૂંગા ધેટાંની જેમ જીવવામાં માનનાર યુવકો સમાજને શું પ્રદાન કરશે?

અવલોકિતા આત્મવિશ્વાસથી છલકાઇ ઊઠી

Do. Prashasti Mehta
Tuesday, August 04, 2009 20:57 [IST]
Bookmark and Share
pra.jpgઅવલોકિતા હજી હમણાં જ અમેરિકા આવી છે. તેથી અમેરિકન અંગ્રેજી ઉચ્ચાર સમજવામાં કયારેક ગૂંચવાય છે અને એ ગૂંચવાય ત્યારે નાના બાળકની જેમ એની મમ્મી અનુબહેનને ફરિયાદ કરવા તરત ફોન લગાવે.

અનુબહેન દીકરીની મૂંઝવણને સ્વાભાવિક ગણાવતાં કહે, ‘આટલી નાની વાતમાં અપસેટ શું કામ થવાનું? અમેરિકામાં કેટલાય દેશોના માણસો વસ્યા છે, દરેકના અંગ્રેજી ઉચ્ચારણ એમની માતૃભાષા પ્રમાણે જ થાય. એટલે શરૂ શરૂમાં માત્ર તને જ નહીં, પણ નવા આવનાર બધાને આવી તકલીફ પડે.

તું તો અંગ્રેજી ભાષા જાણે છે એટલે અમેરિકનો સાથે વાત તો કરી શકે છે, પણ ઘણા ચાઇનીઝ અને જાપાનીઝને તો અંગ્રેજીનું જરાય જ્ઞાન નથી હોતું. તેમ છતાં તેઓ વાત કરતાં મૂંઝાતા નથી અને પોતાની વાત સામા માણસને સમજાવી શકે છે. આમાં બોડી લેંગ્વેજ પણ સહાયરૂપ થાય.

પરદેશમાં વસવા જનારને આવી કેટલીય મુશ્કેલીઓ પડે તેમાં આવી સામાન્ય વાતથી ઉત્સાહ નહીં ગુમાવવાનો. તું ધીરજથી એમના ઉરચાર સમજવા પ્રયત્ન કર. આના માટે તું ટીવી અને રેડિયોના પ્રોગ્રામ ઘ્યાનપૂર્વક જો અને સાંભળ.’ અવલોકિતાનો સ્વભાવ અધીરો અને ગભરુ હતો, પણ મમ્મી સાથે વાત કરી એટલે એ સ્વસ્થ થઇ. વળી એની મમ્મીએ કહ્યું, ‘દીકરી, તું નાની હતી ત્યાં સુધી ઠીક છે. હવે લગ્ન પછી તારી પોતાની જિંદગી શરૂ થઇ, તારા પ્રોબ્લેમ તારે પોતે જ હલ કરવા જોઇએ. કોઇ બીજા પર તારે આધાર નહીં રાખવાનો.’

થોડા દિવસ પછી જ અવલોકિતાએ એની જોબના સ્થળ પર, પાર્કિંગ લોટમાં એની કાર ત્યાં પાર્ક થયેલી બીજી કાર સાથે અથડાવી મારી. પેલી કાર ત્યાં પાર્ક કરેલી બીજી બે કાર સાથે અથડાઇ, ધડાધડ. અવલોકિતા ગભરાઇ ગઇ. હવે? એણે એના પતિ તુહિનને ફોન કર્યો, ‘તું ઝડપથી અહીં આવી જા.’

આટલું કહેતાં કહેતાંમાં તો એ રડી પડી. તુહિન શાંત સ્વરે બોલ્યો, ‘પહેલાં તું શાંત થઇ જા. કારને નુકસાન થયું, એમાં ગભરાવાનું શું? તું ત્રણ ચિઠ્ઠીઓ બનાવ. દરેકમાં તારું નામ, ફોનનંબર, આપણી કારનો નંબર અને આપણા ઇન્સ્યોરન્સ એજન્ટનું નામ તથા ફોનનંબર લખીને ત્રણે કારના વાઇપરમાં ભરાવી દે. એ ત્રણે કારના માલિક ભલે હાજર ન હોય, પણ એમને જરૂરી માહિતી સમયસર અને સાચી મળી જશે.’

‘પણ તું આવી જા અહીંયા, તુહિન મને બહુ ડર લાગે છે. પ્લીઝ, તું આવ.’ અવલોકિતાએ આજીજી કરી. પણ તુહિન પહેલાંની જેમ જ શાંત, સંયત સૂરમાં બોલ્યો, ‘અવલોકિતા, ત્યાં મારી જરાય જરૂર નથી. તું એકલી આખી સિરયુએશન સંભાળી શકીશ એટલો મને તારા પર ભરોસો છે.’ તુહિનના આ શબ્દોથી અવલોકિતામાં ખરેખર હિંમત આવી અને એણે પૂરી ચોકસાઇથી આખી પરિસ્થિતિ સંભાળી લીધી. એણે પોતાના ઇન્સ્યોરન્સ એજન્ટને પણ ફોન કરીને બધી માહિતી આપી દીધી.

બીજી એક વાર એ મોલમાં ખરીદી કરવા ગઇ હતી અને પાર્કિંગમાં એની કારની બાજુની કાર જ કોઇ ડ્રગ સપ્લાયરની હતી. પોતાની કારમાંથી અવલોકિતા ઊતરવા જતી હતી. ત્યાં ચારે બાજુથી સાયરનના અવાજ સંભળાયા અને પોલીસવાનોએ પેલા ડ્રગવાળાની કારને આંતરી લીધી.

અવલોકિતાનું હૈયું તો જોરજોરથી ધબકતું હતું, પણ કોને ખબર એનામાં કેવી રીતે સૂઝ, સમજ અને શકિત આવ્યાં કે પોતે સલામત રીતે બહાર નીકળી શકી. સામસામા ફાયિંરગ અને અફડાતફડીમાંથી એ કેવી રીતે બહાર નીકળી શકી એનું એને પોતાને જ આશ્ચર્ય થયું. નાની નાની તકલીફોમાં મા પાસે દોડી જતી અવલોકિતાને એના પતિની ‘તું કરી શકીશ.’ એ ત્રણ શબ્દોએ ગજબનો આત્મવિશ્વાસ આપ્યો.

Sunday, August 9, 2009

પારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા

[નવોદીત સર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પગલું માંડી રહેલા પ્રશસ્તિબેન (અમેરિકા) માટે ‘મોરના ઈંડા ચીતરવા ન પડે !’ એ કહેવત એકદમ સુયોગ્ય છે કારણ કે તેઓ સાહિત્યકાર અવંતિકાબેન ગુણવંતના સુપુત્રી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્યક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો પ્રસ્તુત લેખ તાજેતરના ‘દિવ્ય ભાસ્કર’માં સ્થાન પામ્યો છે. ]

પારમિતાના લગ્ન પરદેશથી પરણવા આવેલા સંવિદ સાથે થયા ત્યારે એ બેઉ અન્યોન્ય માટે તદ્દન અજાણ્યા હતા. એકાદ બે વાર મળ્યાં અને લગ્નનું નક્કી કરી નાખ્યું હતું. પરદેશમાં વસનારને તો નવાઇ જ લાગે કે સમગ્ર જીવનને સ્પર્શે એવો આ નિર્ણય આટલી ઉતાવળમાં લઇ શકાય ? પશ્ચિમની સંસ્કૃતિનો પાસ પામેલો માણસ પ્રેમમાં પાગલ બની શકે છે પણ આંખ મીંચીને કોઇને પોતાના જીવનમાં કાયમ માટે આવકારી નથી શકતો. જયારે છેલ્લા વીસ વર્ષથી અમેરિકામાં રહેલા એન્જિનિયર સંવિદે આર્ટિસ્ટ પારમિતાને પસંદ કરી માત્ર દસેક મિનિટની વાતચીતમાં જ.

સંવિદની પસંદગી સાંભળીને સૌ નવાઇ પામી ગયાં. કારણ કે પરદેશથી આવનાર યુવક તો ડોકટર, ફાર્માસિસ્ટ, એન્જિનિયર કે સાયન્સ ગ્રેજયુએટ છોકરીને જ પસંદ કરે અને આવી છોકરીઓ સંવિદની પ્રતીક્ષા કરી રહી હતી. પણ સંવિદ બોલ્યો, ‘હું ત્યાં પૂરતું કમાઉ છું, વધારે આવકની મારે જરૂર નથી. મારે તો મને સહકાર આપે એવી આત્મીય પ્રિયજનની જરૂર છે.’ સંવિદનો જવાબ સાંભળીને પારમિતા ખીલી ઊઠી. ઓહ, સંવિદને મારામાં કેટલો વિશ્વાસ ! પારમિતા અને સંવિદ ભલે એકબીજાને ખાસ જાણતાં નથી પણ લગ્નવિધિ વખતે બોલતા મંત્રના સામર્થ્ય પર વિશ્વાસ રાખી, અન્યોન્યનો તેઓ સંપૂર્ણ સ્વીકાર કરે છે.

ત્યાં ઘરમાંથી એક અવાજ આવ્યો, ‘પારમિતા નામ તો કેટલું લાંબુ છે, પૂજા કે પૂર્વી નામ રાખો….’ પારમિતાએ સંવિદ સામે જોયું. સંવિદ હસ્યો, એ કંઇ બોલે એ પહેલાં સંવિદના પિતા કાંતિલાલ બોલ્યા, ‘તમે નામ બદલો એ પહેલાં પારમિતાને પૂછો કે એને કયું નામ ગમશે ? અને પારમિતા વિનયપૂર્વક બોલી, ‘પચીસ વર્ષથી જે નામ સાંભળીને મેં હોંકારો દીધો છે એ નામ જ મને તો ગમે ને, પછી તમારી મરજી.’ તરત કાંતિલાલ બોલ્યા, ‘નામ નથી બદલવાનું. પારમિતા નામથી જ એ ઓળખાશે.’ પારમિતાને થયું પતિ તો એને સમજે છે, પણ સસરા પણ આટલા સ્નેહાળ, સમજદાર ! છ મહિના પછી પારમિતા અમેરિકા પહોંચી. પારમિતા જૈન કુટુંબની દીકરી છે અને સંવિદ પટેલ કુટુંબનો. એના ઘરમાં લસણ, ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય પણ પારમિતાના સાસુએ કહ્યું, ‘જૈનો આવું બધું ના ખાય માટે આપણી રસોઇમાં હવે આ બધું નહીં વાપરવાનું.’

પારમિતાને આશ્ચર્ય થયું. ઓહો, ઘરમાં મારો બધા કેટલો ખ્યાલ રાખે છે ! એની મમ્મીએ કહ્યું હતું કે બાંધછોડ કરીશ તો જ સાસરિયાનો પ્રેમ પામીશ પણ અહીં તો એને કશી બાંધછોડ કરવાની નથી. અને નવાઇ ત્યારે લાગી કે પર્યુષણના પ્રથમ દિવસે પારમિતાએ ઉપવાસ કર્યો’તો. એના વર અને સાસુ સસરાએ પણ ઉપવાસ કર્યો. પારમિતા તો વિચારે છે ભારતીય સમાજમાં તો નવવધૂ એના પતિગૃહ પ્રવેશ કરે ત્યારથી એ ગૃહમાં સમાઈ જવા સભાનપણે પ્રયત્ન કરે છે. અહીં તો આખું ઘર મને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. હું બધાની લાડકી છું. પારમિતાએ સંવિદને આ વાત કરી તો એ કહે, ‘મમ્મી પપ્પા કહે છે કે તું તારા માતાપિતા, ઘર, સ્વજનો છોડીને આવી છે એની વ્યથા તો હૈયે હોય જ વળી ઘરમાં અને બહાર તદ્દન અપરિચિત વાતાવરણ સ્વીકારવાનું સહેલી વાત નથી. માટે તું મુંઝાય નહીં એનો બધાએ ખ્યાલ રાખવાનો.’ સાસરિયા સૌ નવવધૂ સાથે સદભાવ અને પ્રેમથી વર્તે તો કેટલાય ખોટાં ઘર્ષણો ટળી જાય.

થોડા દિવસમાં પારમિતાને એક જાહેરખબરની કંપનીમાં જોબ મળી ગઇ. પણ સ્થળ દૂર હતું. ઘરનું કોઇને કોઇ સભ્ય એને મૂકવા અને તેડવા જતું. અઠવાડિયામાં તેના સસરાએ પારમિતાના હાથમાં નવી નક્કોર કારની ચાવી મૂકી. પારમિતા બોલી ‘પણ મારી પાસે અહીંનું ડ્રાઇવિંગ લાયસન્સ નથી….’ ‘તું અમારી સાથે રહીને પ્રેકિટસ કર અને લાયસન્સ લઇ લે. પછી તું સ્વતંત્ર રીતે જયાં જવું હોય ત્યાં જઇ શકે. તારે કોઇની પર આધાર રાખવો ના પડે.’ બધા જ નવવધૂની આટલી કાળજી લે તો પરિવારમાં કોઇ દુ:ખ રહે જ નહીં. પારમિતાને નહીં ધારેલું સુખ મળ્યું.

Wednesday, August 5, 2009

દીકરાના સર્વાંગી વિકાસ માટે...

Do. Prashasti Mehta
Friday, July 17, 2009 17:04 [IST]
Bookmark and Share

જે સમાજમાં રહેતા હોઇએ ત્યાંની પ્રથા પ્રમાણે જો દીકરાને તાલીમ આપીએ તો એનો આત્મવિશ્વાસ ચોક્કસ વિકસે...



son.jpgશાશ્વતનું વેકેશન શરૂ થયું, ત્યારે એના મમ્મી-પપ્પાએ વિચાર્યું, શાશ્વતને ફૂલટાઇમ નહીં, પણ પાર્ટટાઇમ કોઇ જોબ કરવાનું કહીએ. આ વાત સાંભળી એટલે હમણાં જ ભારતથી આવેલા મામા-મામી કહે, ‘આવડો નાનો છોકરો નોકરી કરવા જાય? તમે મા-બાપ બંને કમાવ છો, એ શું ઓછું છે તે છોકરો વેકેશનમાં મોજમસ્તી કરવાના બદલે નોકરી કરવા જશે?



શાશ્વતના પપ્પા દીપ બોલ્યા, ‘પૈસા માટે શાશ્વતને નોકરીએ નથી મોકલતાં, પણ એના વ્યકિતત્વના ઘડતર માટે મોકલીએ છીએ. એનો સર્વાંગી વિકાસ થાય માટે આ રીત અપનાવીએ છીએ. આ અમેરિકન સમાજમાં છોકરા-છોકરી બાર-તેર વર્ષનાં થાય એટલે વેકેશનમાં કમાવાનો ઉધમ કરે જ છે.



એમના ભણતરથી એમને પુસ્તકિયું જ્ઞાન મળે, પણ ઘરની બહાર પગ મૂકે, આપણી વાત્સલ્યભરી છત્રછાયાથી દૂર જાય એટલે એને જવાબદારીનું ભાન થાય. બહારની અજાણી દુનિયામાં પગ મૂકવો અને પોતાના માટે જગ્યા કરવી એ અઘરું કામ છે, કોની સાથે કેવી રીતે વર્તવું એ શિષ્ટાચાર એને આવડે.



બીજાનું મન સમજવું અને માન આપવું અને આપણું કામ કરાવવું એ કલા છે. જીભે એક પણ કડવો શબ્દ ન આવવો જોઇએ, ગુસ્સો કરવાનું કારણ મળે તો ય જરાય ઉશ્કેરાવાનું નહીં, ઠંડું દિમાગ રાખીને હસતા મોંએ સંયમ અને નમ્રતા દાખવીને સદ્ભાવથી આપણું કામ પાર પાડવાની આવડત દરેકમાં હોવી જ જોઇએ. એ આવડત બીજાની સાથે કામ કરવાથી જ કેળવાય.



સંયમ, ધીરજ, નમ્રતા, સમતા અને મહેનતુ સ્વભાવ એ બધા ગુણો બહારની દુનિયામાં સફળ થવા માટે અતિ આવશ્યક છે.’ મામા બોલ્યા, ‘પણ બહારનો માણસ આપણા દીકરાને નાનો જોઇને એને દબાવે, એનું શોષણ કરે, એનો ગેરલાભ ઉઠાવે અને છોકરો જો ચૂપચાપ સહન કરે તો પણ એનું મન તો દુભાય જ ને! એને અન્યાય થાય તેમ છતાં નમ્રતા રાખે, ધીરજ રાખે તો લઘુતાગ્રંથિ ન બંધાઇ જાય? એનો ઉત્સાહ, આનંદ કરમાઇ જાય, એની ચેતના મંદ પડી જાય.



એની બુદ્ધિ કંિઠત થઇ જાય, મનોમન એ ગૂંગળાય. એના કરતાં એને મસ્તીથી ખેલવા કૂદવા દે ને! એને લાઇબ્રેરીમાં મોકલ, વાંચવાની ટેવ પાડ. તોય એનો વિકાસ થશે જ.’ ‘તમારી વાત સાચી છે, પણ અહીંના આ અમેરિકન સમાજની પ્રથા અનુસાર એના કલાસના બીજા છોકરાઓ જયારે એમની જોબ અને કમાણીની વાતો કરે ત્યારે આપણા શાશ્વતને જો એવો અનુભવ ના હોય તો એનામાં લઘુતાગ્રંથિ ઘર કરી જવાનો ડર ઊભો છે.



વળી, જીવનમાં ગમે તે પળે, કેવો સંઘર્ષ કરવાનો આવશે એ આપણે જાણતા નથી. કયારેક વિપરીત સંજોગો આવી પડે અને ચોપાસ અંધકાર અને નિરાશા જ દેખાય, ત્યારે જો વિષમ પરિસ્થિતિમાંથી એ પસાર થયો હોય તો એનામાં આત્મવિશ્વાસ કેળવાયો હોય, મહેનત કરવાનો ગુણ વિકસ્યો હોય. નાની નાની નિષ્ફળતા અને વિરોધોનો હિંમતભેર મુકાબલો કરતાં આવડતું હોય તો આપણો દીકરો કદી પાછો ના પડે. એ ડરે નહીં, હતાશ ન થાય. સંકટો સામે ઝઝૂમી શકે.



જોબ કરવાના લીધે એનામાં ચોકસાઇ અને ચીવટ આવશે. એને લાઇબ્રેરીમાં જવાની અને વિવિધ વિષયો પર વાંચન કરવાની ટેવ તો છે જ, એટલે જોબ કરતાં કરતાં વાંચવાનો સમય પણ એણે ફાળવવો પડશે. આમ કરવાથી એને ટાઇમ મેનેજમેન્ટ કરતા આવડશે. આજે આ નવી દુનિયામાં દિવસે દિવસે ઘણા પરિવર્તનો આવતા જાય છે આપણે પણ એમાંથી જે સારું છે એને અપનાવીએ તો જ જીવન સમદ્ધ બને.’ શાશ્વતના પપ્પાએ કહ્યું, ત્યારે મામા-મામી પણ સંમત થયા.

Monday, August 3, 2009

હાથ કર્મ કરે મન પ્રભુસ્મરણ

હાથ કર્મ કરે મન પ્રભુસ્મરણ

Prashasti Mehta
Thursday, July 30, 2009 21:11 [IST]
Bookmark and Share
આપણે જે કંઇ કામ કરીએ તે સારી ભાવના રાખીને અને બીજાને ઉપયોગી થવાની દ્રષ્ટિથી કરીએ તો? ધાર્મિકતાનો દેખાડો કરવાને બદલે માણસાઇના દીવા દિલમાં પ્રગટાવીએ એ જ સાચો માનવધર્મ

prashasti.jpgઅમેરિકા વસેલી પોયણીએ એના પતિ ગૌરવને કહ્યું, ‘કાલે જયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ અમારા ઘરે પધારવાના છે. મેં મારી મમ્મીને કહ્યું છે, ઇન્ટરનેટ પર તું મને એમના દર્શન કરાવજે.’ ગૌરવે કહ્યું, ‘હું પણ દર્શન કરીશ.’ પોયણી જૈન અને ગૌરવ પટેલ છે, પણ ગૌરવ માને છે કે સંત એટલે સંત. તેઓ કોઇ પણ સંપ્રદાયના હોય, પણ પ્રણામના અધિકારી છે. ગૌરવ ઇન્ડિયામાં હતો, ત્યારે ચર્ચ, દેરાસર, મંદિર, મસ્જિદ અને અગિયારીમાં જતો. એ સર્વધર્મને માનતો.

પોયણી અને ગૌરવ આતુરતાથી મહારાજસાહેબની રાહ જુએ છે. રાતના અગિયાર થવા આવ્યા. પોયણી બોલી, ‘આપણે અહીં રાત છે, પણ ઇન્ડિયામાં તો સવાર. મહારાજસાહેબના ભકતો વેરાશે પછી તેઓ ઇન્ટરનેટ પર આવશે. માટે તું સૂઇ જા.’ ‘સારું તું મને જગાડજે.’ કહીને ગૌરવ સૂઇ ગયો. મહારાજસાહેબ પધાર્યા ત્યારે અમેરિકામાં રાતના બાર થયા હતા, પણ પોયણીની નાની બૂમે ગૌરવ જાગી ગયો. બે હાથ જોડી માથું નમાવી મહારાજ સાહેબને પ્રણામ કરીને ક્ષેમકુશળ પૂછ્યા અને ધર્મબોધ સાંભળવાની ઇરછા પ્રગટ કરી.

‘ધર્મલાભ,’ બોલીને મહારાજસાહેબ કહે, ‘માનવતા કદી ભૂલશો નહીં, સાચા માણસ થઇને રહેજો.’ બીજા દિવસે ગૌરવ કહે, ‘આપણે કોઇ ભૌતિક ચીજની ખોટ નથી. મેળવવા જેવું બધું મેળવ્યું છે, પણ સાધુસંતના દર્શન થાય, એમના આશીર્વાદ મળે ત્યારે અંતરના ઊડાણમાં ગજબનાં સંતોષ અને પ્રસન્નતા છવાઇ જાય છે. એમ થાય કે બસ આ પ્રસન્નતા કાયમ રહે.’ પોયણી બોલી, ‘સાધુસંત અને એમના ઉપદેશનું સ્મરણ કરવાનું એટલે બધી ઉદાસી અને ચિંતા જતી રહે અને આનંદ આનંદ થઇ જાય.’

ગૌરવે પૂછ્યું, ‘પોયણી, તું આટલી શ્રદ્ધાળુ છે છતાં કોઇ દિવસ દીવો, ધૂપ નથી કરતી, ભગવાનની મૂર્તિ કે ફોટો નથી રાખતી, માળા નથી ફેરવતી, કોઇ ક્રિયાકાંડ નથી કરતી. એવું કેમ?’ ‘આ તો ત્રણ પેઢીથી ચાલી આવતી અમારી જીવનશૈલી અને માન્યતા છે. મારા મમ્મી-પપ્પા કે દાદા-દાદી દેવદર્શનના વિરોધી નહોતાં, પણ એમાં માનતાંય નહોતા.

દાદા કહેતા ‘ગરીબને ખાવા ઘી નથી ને આપણે ઘી દીવા કરવામાં વેડફી મારીએ છીએ. એ દાદીને કહે, જેટલું ઘી તમે દીવીમાં પૂરો છો, એટલું રોજ બાજુ પર મૂકો અને કોઇ ગરીબને આપો તો એ ઘી ચોપડેલી રોટલી ખાઇ શકે. મારા દાદી એક આસને બેસીને માળા ફેરવવાના બદલે રોજ એક કલાક અમારું આંગણું વાળનારા કાળુભાઇનાં સંતાનોને ભણાવતાં.

અમારા ઘરમાં નિયમ હતો, દાદી અથવા ઘરમાં કોઇ ઉપવાસ કરે એમનું ખાવાનું કોઇ જરૂરતવાળાને આપી આવવાનું. આંગણું વાળનારાને કપડાં ધોવાનો અને નહાવાનો સાબુ મારી મમ્મી કાયમ આપે અને સ્વરછતાના પાઠ શીખવાડે. એમને નખ કાપી આપે. માથામાં નાખવા તેલ આપે.’ ગૌરવ કહે, ‘તારા ઘરની વાતો જ ન્યારી છે, પણ સાંભળવી ગમે છે.

તું કાયમ કામ કરતાં ભજન ગાય છે, એ પણ મને બહુ ગમે છે.’ ‘મારાં દાદી અને મમ્મીએ મને વારસામાં આપેલા એ સંસ્કાર છે. દાદી કહે છે કે, હાથ દ્વારા ઘરકામ તો થયા કરે, પણ આપણું ચિત્ત ઉચ્ચ ભાવનામાં રમમાણ હોવું જોઇએ.’ પોયણીએ કહ્યું. ‘સાચી વાત છે, તેથી જ ઘરનું વાતાવરણ કેટલું પ્રફુિલ્લત અને શોભા આપનારું લાગે છે. આખો દિવસ સરસ જાય છે.’ ગૌરવે જવાબ આપ્યો.