દીકરાના સર્વાંગી વિકાસ માટે...
જે સમાજમાં રહેતા હોઇએ ત્યાંની પ્રથા પ્રમાણે જો દીકરાને તાલીમ આપીએ તો એનો આત્મવિશ્વાસ ચોક્કસ વિકસે...
શાશ્વતનું વેકેશન શરૂ થયું, ત્યારે એના મમ્મી-પપ્પાએ વિચાર્યું, શાશ્વતને ફૂલટાઇમ નહીં, પણ પાર્ટટાઇમ કોઇ જોબ કરવાનું કહીએ. આ વાત સાંભળી એટલે હમણાં જ ભારતથી આવેલા મામા-મામી કહે, ‘આવડો નાનો છોકરો નોકરી કરવા જાય? તમે મા-બાપ બંને કમાવ છો, એ શું ઓછું છે તે છોકરો વેકેશનમાં મોજમસ્તી કરવાના બદલે નોકરી કરવા જશે?
શાશ્વતના પપ્પા દીપ બોલ્યા, ‘પૈસા માટે શાશ્વતને નોકરીએ નથી મોકલતાં, પણ એના વ્યકિતત્વના ઘડતર માટે મોકલીએ છીએ. એનો સર્વાંગી વિકાસ થાય માટે આ રીત અપનાવીએ છીએ. આ અમેરિકન સમાજમાં છોકરા-છોકરી બાર-તેર વર્ષનાં થાય એટલે વેકેશનમાં કમાવાનો ઉધમ કરે જ છે.
એમના ભણતરથી એમને પુસ્તકિયું જ્ઞાન મળે, પણ ઘરની બહાર પગ મૂકે, આપણી વાત્સલ્યભરી છત્રછાયાથી દૂર જાય એટલે એને જવાબદારીનું ભાન થાય. બહારની અજાણી દુનિયામાં પગ મૂકવો અને પોતાના માટે જગ્યા કરવી એ અઘરું કામ છે, કોની સાથે કેવી રીતે વર્તવું એ શિષ્ટાચાર એને આવડે.
બીજાનું મન સમજવું અને માન આપવું અને આપણું કામ કરાવવું એ કલા છે. જીભે એક પણ કડવો શબ્દ ન આવવો જોઇએ, ગુસ્સો કરવાનું કારણ મળે તો ય જરાય ઉશ્કેરાવાનું નહીં, ઠંડું દિમાગ રાખીને હસતા મોંએ સંયમ અને નમ્રતા દાખવીને સદ્ભાવથી આપણું કામ પાર પાડવાની આવડત દરેકમાં હોવી જ જોઇએ. એ આવડત બીજાની સાથે કામ કરવાથી જ કેળવાય.
સંયમ, ધીરજ, નમ્રતા, સમતા અને મહેનતુ સ્વભાવ એ બધા ગુણો બહારની દુનિયામાં સફળ થવા માટે અતિ આવશ્યક છે.’ મામા બોલ્યા, ‘પણ બહારનો માણસ આપણા દીકરાને નાનો જોઇને એને દબાવે, એનું શોષણ કરે, એનો ગેરલાભ ઉઠાવે અને છોકરો જો ચૂપચાપ સહન કરે તો પણ એનું મન તો દુભાય જ ને! એને અન્યાય થાય તેમ છતાં નમ્રતા રાખે, ધીરજ રાખે તો લઘુતાગ્રંથિ ન બંધાઇ જાય? એનો ઉત્સાહ, આનંદ કરમાઇ જાય, એની ચેતના મંદ પડી જાય.
એની બુદ્ધિ કંિઠત થઇ જાય, મનોમન એ ગૂંગળાય. એના કરતાં એને મસ્તીથી ખેલવા કૂદવા દે ને! એને લાઇબ્રેરીમાં મોકલ, વાંચવાની ટેવ પાડ. તોય એનો વિકાસ થશે જ.’ ‘તમારી વાત સાચી છે, પણ અહીંના આ અમેરિકન સમાજની પ્રથા અનુસાર એના કલાસના બીજા છોકરાઓ જયારે એમની જોબ અને કમાણીની વાતો કરે ત્યારે આપણા શાશ્વતને જો એવો અનુભવ ના હોય તો એનામાં લઘુતાગ્રંથિ ઘર કરી જવાનો ડર ઊભો છે.
વળી, જીવનમાં ગમે તે પળે, કેવો સંઘર્ષ કરવાનો આવશે એ આપણે જાણતા નથી. કયારેક વિપરીત સંજોગો આવી પડે અને ચોપાસ અંધકાર અને નિરાશા જ દેખાય, ત્યારે જો વિષમ પરિસ્થિતિમાંથી એ પસાર થયો હોય તો એનામાં આત્મવિશ્વાસ કેળવાયો હોય, મહેનત કરવાનો ગુણ વિકસ્યો હોય. નાની નાની નિષ્ફળતા અને વિરોધોનો હિંમતભેર મુકાબલો કરતાં આવડતું હોય તો આપણો દીકરો કદી પાછો ના પડે. એ ડરે નહીં, હતાશ ન થાય. સંકટો સામે ઝઝૂમી શકે.
જોબ કરવાના લીધે એનામાં ચોકસાઇ અને ચીવટ આવશે. એને લાઇબ્રેરીમાં જવાની અને વિવિધ વિષયો પર વાંચન કરવાની ટેવ તો છે જ, એટલે જોબ કરતાં કરતાં વાંચવાનો સમય પણ એણે ફાળવવો પડશે. આમ કરવાથી એને ટાઇમ મેનેજમેન્ટ કરતા આવડશે. આજે આ નવી દુનિયામાં દિવસે દિવસે ઘણા પરિવર્તનો આવતા જાય છે આપણે પણ એમાંથી જે સારું છે એને અપનાવીએ તો જ જીવન સમદ્ધ બને.’ શાશ્વતના પપ્પાએ કહ્યું, ત્યારે મામા-મામી પણ સંમત થયા.
No comments:
Post a Comment