પારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા
[નવોદીત સર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પગલું માંડી રહેલા પ્રશસ્તિબેન (અમેરિકા) માટે ‘મોરના ઈંડા ચીતરવા ન પડે !’ એ કહેવત એકદમ સુયોગ્ય છે કારણ કે તેઓ સાહિત્યકાર અવંતિકાબેન ગુણવંતના સુપુત્રી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્યક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો પ્રસ્તુત લેખ તાજેતરના ‘દિવ્ય ભાસ્કર’માં સ્થાન પામ્યો છે. ]
પારમિતાના લગ્ન પરદેશથી પરણવા આવેલા સંવિદ સાથે થયા ત્યારે એ બેઉ અન્યોન્ય માટે તદ્દન અજાણ્યા હતા. એકાદ બે વાર મળ્યાં અને લગ્નનું નક્કી કરી નાખ્યું હતું. પરદેશમાં વસનારને તો નવાઇ જ લાગે કે સમગ્ર જીવનને સ્પર્શે એવો આ નિર્ણય આટલી ઉતાવળમાં લઇ શકાય ? પશ્ચિમની સંસ્કૃતિનો પાસ પામેલો માણસ પ્રેમમાં પાગલ બની શકે છે પણ આંખ મીંચીને કોઇને પોતાના જીવનમાં કાયમ માટે આવકારી નથી શકતો. જયારે છેલ્લા વીસ વર્ષથી અમેરિકામાં રહેલા એન્જિનિયર સંવિદે આર્ટિસ્ટ પારમિતાને પસંદ કરી માત્ર દસેક મિનિટની વાતચીતમાં જ.
સંવિદની પસંદગી સાંભળીને સૌ નવાઇ પામી ગયાં. કારણ કે પરદેશથી આવનાર યુવક તો ડોકટર, ફાર્માસિસ્ટ, એન્જિનિયર કે સાયન્સ ગ્રેજયુએટ છોકરીને જ પસંદ કરે અને આવી છોકરીઓ સંવિદની પ્રતીક્ષા કરી રહી હતી. પણ સંવિદ બોલ્યો, ‘હું ત્યાં પૂરતું કમાઉ છું, વધારે આવકની મારે જરૂર નથી. મારે તો મને સહકાર આપે એવી આત્મીય પ્રિયજનની જરૂર છે.’ સંવિદનો જવાબ સાંભળીને પારમિતા ખીલી ઊઠી. ઓહ, સંવિદને મારામાં કેટલો વિશ્વાસ ! પારમિતા અને સંવિદ ભલે એકબીજાને ખાસ જાણતાં નથી પણ લગ્નવિધિ વખતે બોલતા મંત્રના સામર્થ્ય પર વિશ્વાસ રાખી, અન્યોન્યનો તેઓ સંપૂર્ણ સ્વીકાર કરે છે.
ત્યાં ઘરમાંથી એક અવાજ આવ્યો, ‘પારમિતા નામ તો કેટલું લાંબુ છે, પૂજા કે પૂર્વી નામ રાખો….’ પારમિતાએ સંવિદ સામે જોયું. સંવિદ હસ્યો, એ કંઇ બોલે એ પહેલાં સંવિદના પિતા કાંતિલાલ બોલ્યા, ‘તમે નામ બદલો એ પહેલાં પારમિતાને પૂછો કે એને કયું નામ ગમશે ? અને પારમિતા વિનયપૂર્વક બોલી, ‘પચીસ વર્ષથી જે નામ સાંભળીને મેં હોંકારો દીધો છે એ નામ જ મને તો ગમે ને, પછી તમારી મરજી.’ તરત કાંતિલાલ બોલ્યા, ‘નામ નથી બદલવાનું. પારમિતા નામથી જ એ ઓળખાશે.’ પારમિતાને થયું પતિ તો એને સમજે છે, પણ સસરા પણ આટલા સ્નેહાળ, સમજદાર ! છ મહિના પછી પારમિતા અમેરિકા પહોંચી. પારમિતા જૈન કુટુંબની દીકરી છે અને સંવિદ પટેલ કુટુંબનો. એના ઘરમાં લસણ, ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય પણ પારમિતાના સાસુએ કહ્યું, ‘જૈનો આવું બધું ના ખાય માટે આપણી રસોઇમાં હવે આ બધું નહીં વાપરવાનું.’
પારમિતાને આશ્ચર્ય થયું. ઓહો, ઘરમાં મારો બધા કેટલો ખ્યાલ રાખે છે ! એની મમ્મીએ કહ્યું હતું કે બાંધછોડ કરીશ તો જ સાસરિયાનો પ્રેમ પામીશ પણ અહીં તો એને કશી બાંધછોડ કરવાની નથી. અને નવાઇ ત્યારે લાગી કે પર્યુષણના પ્રથમ દિવસે પારમિતાએ ઉપવાસ કર્યો’તો. એના વર અને સાસુ સસરાએ પણ ઉપવાસ કર્યો. પારમિતા તો વિચારે છે ભારતીય સમાજમાં તો નવવધૂ એના પતિગૃહ પ્રવેશ કરે ત્યારથી એ ગૃહમાં સમાઈ જવા સભાનપણે પ્રયત્ન કરે છે. અહીં તો આખું ઘર મને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. હું બધાની લાડકી છું. પારમિતાએ સંવિદને આ વાત કરી તો એ કહે, ‘મમ્મી પપ્પા કહે છે કે તું તારા માતાપિતા, ઘર, સ્વજનો છોડીને આવી છે એની વ્યથા તો હૈયે હોય જ વળી ઘરમાં અને બહાર તદ્દન અપરિચિત વાતાવરણ સ્વીકારવાનું સહેલી વાત નથી. માટે તું મુંઝાય નહીં એનો બધાએ ખ્યાલ રાખવાનો.’ સાસરિયા સૌ નવવધૂ સાથે સદભાવ અને પ્રેમથી વર્તે તો કેટલાય ખોટાં ઘર્ષણો ટળી જાય.
થોડા દિવસમાં પારમિતાને એક જાહેરખબરની કંપનીમાં જોબ મળી ગઇ. પણ સ્થળ દૂર હતું. ઘરનું કોઇને કોઇ સભ્ય એને મૂકવા અને તેડવા જતું. અઠવાડિયામાં તેના સસરાએ પારમિતાના હાથમાં નવી નક્કોર કારની ચાવી મૂકી. પારમિતા બોલી ‘પણ મારી પાસે અહીંનું ડ્રાઇવિંગ લાયસન્સ નથી….’ ‘તું અમારી સાથે રહીને પ્રેકિટસ કર અને લાયસન્સ લઇ લે. પછી તું સ્વતંત્ર રીતે જયાં જવું હોય ત્યાં જઇ શકે. તારે કોઇની પર આધાર રાખવો ના પડે.’ બધા જ નવવધૂની આટલી કાળજી લે તો પરિવારમાં કોઇ દુ:ખ રહે જ નહીં. પારમિતાને નહીં ધારેલું સુખ મળ્યું.
No comments:
Post a Comment