આધુનિક યુવતીની તાસીર
Bookmark and Share
Prashasti Mehta
Saturday, July 04, 2009 19:35 [IST]
sapna-ni-kedi.jpg
વૈદેહી અને પારિજાત બાલમંદિરથી ગ્રેજયુએશન સુધી સાથે ભણ્યાં. બંને કલાકો સુધી સાથે બેસીને ચર્ચા કરતાં. તેમના વિચારો અને આકાંક્ષા સમાન હતાં. બેઉને અન્યોન્યનો સંગ ગમતો. વૈદેહીને હતું કે પારિજાત એની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશે, પણ પારિજાત તો કયારેય લગ્નની વાત ઉરચારતો નહીં.
આધુનિક વૈદેહીને થયું, ‘રૂઢિચુસ્ત યુવતીની જેમ પારિજાતના પ્રસ્તાવની રાહ જોઇને હું શું કામ બેસી રહું? એના સમક્ષ મારા હૃદય-મનની વાત કહેવામાં સંકોચ શાનો? અને એ પણ મારી જેમ જ વિચારતો હશે ને!’ આત્મવિશ્વાસથી ભરપૂર વૈદેહીએ સામેથી જયારે લગ્નની વાત છેડી,ત્યારે પળભર વિચારમાં પડી ગયા પછી પારિજાત બોલ્યો, ‘મારે મારા મમ્મી-પપ્પાને પૂછવું પડે.’
આ સાંભળીને વૈદેહીને એક આંચકો લાગ્યો. આજ સુધી મુકત મને સાથે વિચરતી વખતે મમ્મી-પપ્પાને પૂછવું ન પડયું અને નિર્ણય કરતી વખતે મમ્મી-પપ્પાને પૂછવાનું? એણે ગુસ્સાભર્યા સ્વરે પૂછ્યું, ‘પરણવાનું તારે અને નિર્ણય એ લોકો કરે? તું માત્ર એમના હાથનો ઢીંગલો છે? મૈત્રી બાંધતાં પહેલાં તેં એમને પૂછ્યું નહોતું? કેમ નહોતું પૂછ્યું?’
‘તું ગમે તે કહે પણ અમારા ઘર- કુટુંબમાં મહત્વના નિર્ણયો વડીલો જ લે એવી પ્રથા છે. લગ્ન જેવી બાબતમાં મારે એમની ઈચ્છાને આદેશ ગણીને અનુસરવાનું છે અને હું એ સાથે સંમત છું.’ પારિજાતે કહ્યું. ‘પણ આપણા આટલા વર્ષની ગાઢ પ્રેમભરી મૈત્રી, આપણે એકબીજાને કેટલાં સમજીએ છીએ, આપણે પતિ-પત્ની બનવા જ સર્જાયા છીએ. પારિજાત, તું એ વાતને શી રીતે અવગણી શકે?’
‘વૈદેહી, તારી લાગણી હું સમજી શકું છું. તેમ છતાં મારા ઘરમાં જે રૂઢિચુસ્ત વાતાવરણ છે એ પ્રમાણે જીવવા હું બંધાયેલો છું. હું નિખાલસતાથી કબૂલ કરું છું કે મારા જીવનમાં મારા મમ્મી-પપ્પાની ઈચ્છા જ સર્વોપરિ રહેશે. હું કયાંય કદી વિરોધ નહીં કરું. ’
વૈદેહી ગુસ્સાથી બોલી, ‘એટલે તારામાં વર્ષોથી ચાલી આવતી જડ પરંપરા તોડવાનું સાહસ નથી? તારો આટલો બૌદ્ધિક વિકાસ, તારું જ્ઞાન, તારી ભાવના બધું જ તું એળે જવા દઇશ? ઓ પારિજાત, તો પછી આજ સુધી તેં મારી સાથે જે ચર્ચાઓ કરી, સ્વપ્ના સેવ્યાં, તેનું શું?
તેં મારી લાગણીઓ સાથે રમત કેમ કરી? કેટલી બધી બાબતોમાં તું મારી સાથે ઐકય દર્શાવતો હતો, તે શું છલના હતી? પારિજાત, તેં મને છેતરી છે, તે સાથે તું તારી જાતને પણ કદાચ છેતરી રહ્યો છે. પારિજાત, તું તારી જાતને, તારી લાગણીઓને કદાચ સમજી શકયો નથી અથવા તો સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની હામ તારામાં નથી. તારા જીવનનું હિત અને વિકાસ શેમાં છે એ વિચારવાની તારામાં શકિત નથી. તારામાં ખમીર નથી, ખુમારી નથી.
ગુડ બાય, મિ. પારિજાત. મારે તારા જેવો કાયર જીવનસાથી નથી જોઇતો. જેનામાં હિંમત નથી એવા તને હું કેમ કરીને પહેલા સમજી ન શકી? આભાર કે તેં તારું નમાલાપણું અત્યારે જ બતાવી દીધું. મારે જેનું સ્વતંત્ર વ્યક્તિત્વ ન હોય અવા પાત્ર સાથે જીવન જોડવું નથી. લગ્નનો પ્રસ્તાવ હું પાછો ખેંચી લઉ છું. હવે મારો સંપર્ક કરવાની કોશિશ ન કરીશ.’ કહીને વૈદેહી ચાલતી થઇ.
આધુનિક જમાનામાં પણ પારિજાત જેવા યુવકો મળી આવે છે, જેઓમાં પોતાને યોગ્ય લાગે એ કરવાની હિંમત નથી, નીડરતા નથી. વૈદેહી જેવી પરિપકવ, પ્રતિભાવાન યુવતીને પારિજાત જેવો જીવનસાથી પસંદ ન પડે એ સ્વાભાવિક છે. પોતાની વિચારસરણી મુજબ સ્વતંત્ર રીતે જીવવા જેટલી માનસિક ક્ષિતિજો જેની ખુલી નથી અને બાપદાદા જીવતા હતા તે રીતે જ મૂંગા ધેટાંની જેમ જીવવામાં માનનાર યુવકો સમાજને શું પ્રદાન કરશે?
No comments:
Post a Comment