અંતે નમિતાને બધાં સુખ મળ્યાં
સપનાંની કેડીએ
લગભગ પંદર વર્ષ પછી નમિતા મને મળી. એ બોલી, ‘તને ખબર છે, નૈઋતથી છૂટાછેડા લઇને આ અનિરુદ્ધ સાથેના મારા બીજાં લગ્ન છે.’ નમિતાના પ્રથમ લગ્નમાં હું ગઇ હતી. નૈઋત સાથે એને પરણવું જ નહોતું, પણ નમિતાના પપ્પા નૈઋતના પપ્પાનો આલિશાન બંગલો અને દોમદોમ સાહ્યબી જોઇને અંજાઇ ગયા હતા. એમને હતું દીકરી નાદાન છે, સમજતી નથી કે એ રાજરાણીનું સુખ ભોગવશે. નમિતાની ભણવાની ઉમર હતી, એને ભણવું હતું છતાંય એના પપ્પાએ એને પરણાવી દીધી હતી.
નમિતા કહે, ‘પહેલાં મેં લગ્નનો વિરોધ કર્યો હતો, પણ માંહ્યરામાં પગ મૂકયો ને મેં મારી બધી ઇચ્છા-આકાંક્ષા, આગ્રહો વિસારી દીધા હતા. દરેક ફેરે જે પ્રતિજ્ઞા પંડિતજી લેવડાવતા હતા, તે પ્રાણપણે પાળવાના સંકલ્પ સાથે લેતી હતી. મારા કર્તવ્યમાં પાછી નહીં પડું એવા મક્કમ નિર્ધાર સાથે મેં નૈઋતના ધેર પગ મૂકયો હતો.
નૈઋતનું ઘર હવે મારું ઘર બન્યું હતું, પણ ત્યાંનું વાતાવરણ? દંભ, દેખાડો અભિમાન અને તુચ્છકારથી ખદબદતું હતું. કયાંય મને સાચા પ્રેમનો અનુભવ ન થયો, આત્મીયતા ન મળી. નૈઋત દેખાવમાં રૂપાળો હતો, પણ એનું વ્યક્તિત્વ ખીલ્યું જ નહોતું. એ વારંવાર મારું અપમાન કરતો દાંમ્પત્યજીવનની ગરિમા એ જાણતો ન હતો, એ પૂરેપૂરો નોર્મલ નહોતો. એનામાં પરિપકવતા નહોતી. એના જીવનમાં કોઇ આદર્શ નહોતો. કોઇ મહત્ત્વાકાંક્ષા નહોતી, કોઇ સ્વપ્નાં નહોતા. તેમ છતાં એનાં ઉણપ અને ખામીને લક્ષમાં લીધા વગર હું એનું માન જાળવતી. હું આશાવાદી હતી. પુરુષાર્થમાં માનતી હતી.
નૈઋત જેવો હતો એવો મેં સ્વીકારી લીધો હતો. મને હતું કે મારા પ્રેમથી એનામાં પરિવર્તન આવશે, એનું વ્યક્તિત્વ ખીલશે પણ એના માબાપ કે કોઇનો સહકાર ન મળ્યો. તેઓ તો મારું અપમાન કરતા, મને વઢતા. એમનું જોઇને નૈઋત પણ મને વઢતો, ત્યારે હું ખૂબ ઉદાસ થઇ જતી, નિરાશ થઇને રડતી, મારાં મમ્મી પપ્પા કહેતાં, ધીરજ રાખ. સૌ સારાં વાનાં થશે, પણ હું કયાં સુધી ધીરજ રાખું? મહેલ જેવા એ બંગલામાં મને તલમાત્ર સ્નેહ નહોતો મળતો. રોજ મને ત્રાસ અને પીડા આપવાનાં જાણે કાવતરાં થતાં હતા. બધાં મારા વિરોધી હતા.
છેવટે મારી ધીરજ ખૂટી, મારું સ્વત્વ જાગ્રત થયું અને મેં હિંમત કરીને નૈઋતને છોડી દીધો. નૈઋતને છોડતાં પહેલાં મેં બહુ મનોમંથન કર્યું હતું. આપણા ભારતીય સંસ્કાર મને કહેતાં કે જેવું પાત્ર મળ્યું છે એવું, એને મારે સુધારવું જોઇએ, નિભાવવું જોઇએ. કર્તવ્યપાલનમાં પીછેહઠ કરતાં હું અચકાતી હતી. પવિત્ર લગ્નબંધન તોડતાં મને બહુ દુ:ખ થતું હતું, પણ કયાં સુધી હું રીબાતી રહું? હૃદયના મેળ વગર ભૌતિક સુખ ખાતર ત્યાં પડી રહું? હીરામોતીના દાગીના પહેરવા અને મોટરમાં ફરવા એ પામરનું પડખું સેવું? ડગલે ને પગલે મારું શોષણ થવા દઉ અને બહારથી ખુશી બતાવું? ના, હું એવી છલનાભરી જિંદગી ન જીવી શકું.
મારે તો પ્રેમથી છલકાઇ જતી જિંદગી જીવવી હતી. એટલો બધો પ્રેમ હોય કે એની ભરપૂરતામાં જીવનનો કોઇ અભાવ અભાવ ન લાગે, ઊણપ ઊણપ ન લાગે અને જીવન ભર્યુંભર્યું લાગે. એ જીવનમાં કોઇ હીણપત ન હોય, ગ્લાનિ ન હોય.’ નમિતા એની વાત કહે જાય છે, ‘છૂટી થઇને હું પિયર ગઇ, પણ ત્યાં સ્નેહથી કોઇએ મને આવકારી નહી. માબાપને મારો જ વાંક દેખાયો અને મેં માબાપનું ઘર પણ છોડી દીધું. હવે મને કોઇ ડર નહોતો, બીક નહોતી. મેં મારી યોગ્યતા મુજબ નોકરી મેળવી લીધી અને વર્કિંગ વુમન્સ હોસ્ટેલમાં રહેવા માંડી. ત્યાં મારી રૂમ પાર્ટનર તેજલના કઝીન અનિરુદ્ધની ઓળખાણ થઇ.
અનિરુદ્ધ સાથે હું લગ્ન કરીશ એવો તો મને સ્વપ્નેય ખ્યાલ ન હતો. હું બીજી વાર લગ્ન કરવાય નહોતી ઇરછતી, પણ કોને ખબર કેવી રીતે અમે નિકટ આવતા ગયાં અને લગ્ન કરી લીધાં. અનિરુદ્ધના માતા-પિતાએ ઉમળકાથી મને આવકારી. હું છૂટાછેડાવાળી અને અનિરુદ્ધ કુંવારો હતો, પણ તેનો એ લોકોને વાંધો નહોતો. અનિરુદ્ધને એની કંપની તરફથી અહીં અમેરિકા આવવાનું થયું તો મનેય મારા સાસુ-સસરાએ પ્રેમથી અહીં મોકલી.
આખરે મેં ઇચ્છેલા બધા સુખ મને મળ્યાં. આજે મારા દિલમાં કોઇ કડવાશ નથી, કોઇ ફરિયાદ નથી. હું ખૂબ સુખી છું.’ નમિતાએ એની વાત પૂરી કરી. મને થયું, રાત જિતની હી સંગીન હોતી હૈ, સુબહ ઇતની હી રંગીન હોતી હૈ! એ વાત તદ્દન સાચી છે. જરૂર છે, ધીરજ અને પુરુષાર્થની.
No comments:
Post a Comment