સુવિધાભર્યો દેશ ગુનામાં અગ્રેસર!
Prashasti Mehta
સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા કરી શકાય? ગુના થતાં અટકાવવા માટે કાયદો છે, પરંતુ સમાજના લોકોની પણ દેશ પ્રત્યે માનવતા દાખવવાની ફરજ બને છે.
એવું મનાય છે કે પાંચ અમેરિકનોએ એક અમેરિકન માનસિક રીતે વિક્ષિપ્ત હોય છે અને તેઓ એની દવા કરાવતા નથી કારણ કે તેઓ કોઈ ડિસઓર્ડરથી પીડાય છે એવું માનવા તૈયાર નથી, પરંતુ વિજ્ઞાને સાબિત કર્યું છે કે મન જે રીતે શરીર સાથે જોડાયેલું છે, એ રીતે માનસિક રોગો શારીરિક રોગો સાથે જોડાયેલા છે.હૃદયરોગ પછી બીજો કોઈ ખતરનાક રોગ હોય તો માનસિક રોગ છે. અમેરિકામાં આવા રોગીઓ ઘણા છે. ત્યાં દરેક વસ્તુ વિપુલ પ્રમાણમાં મળે છે. ભોગવિલાસના સાધનો ઓછી મહેનતે મબલખ મળે છે, પણ ત્યાંના પ્રજાજીવનમાં આપણી જેમ સંયમ, ધીરજ અને સંતોષ વણાયેલાં નથી.
ત્યાં જીવનમૂલ્યોનું શિક્ષણ મા-બાપ પાસેથી મળતું નથી. પોતાની વૃત્તિઓ અને લાગણીને કાબૂમાં રાખવાની શીખ મળતી નથી, તેથી તેઓ જાતીય સુખ અને વાસનાની તૃપ્તિમાં બધા સુખ માને છે.
અમેરિકામાં સ્વતંત્રતાનો એવો અતિરેક થાય છે કે બાળકોને સદાચારી બનાવવા રોકટોક થઈ શકતી નથી. અહીં નવ વર્ષની છોકરી મા બને છે અને એ બાળકનો પિતા હોય છે, એની સાથે રમતો એના જેવો જ નાદાન છોકરો જેની ઉંમર દસ કે અગિયાર વર્ષની હોય છે. રોમાંચ અને કુતૂહલના આવેશનું અવાંચ્છનીય પરિણામ એવું બાળક કોઈને પોતાનું ન લાગે.
આવું બાળક રસ્તે રખડતું, અસામાજિક પ્રવૃત્તિ કરતું થઈ જાય છે. આવાં બાળકો અંદરોઅંદરની મારામારીમાં ચાકુ-છરી કે બંદૂકની ગોળીનો ભોગ બને છે. કેટલાક વ્યસનોમાં અને કેટલાક અસાઘ્ય જાતીય બીમારીમાં મરે છે. ટીવીમાંથી હિંસા અને સેક્સ શીખે છે અને જીવન વેડફી નાખે છે. તેમનામાં ઊંચા જીવનમૂલ્યો નથી, સુરુચિ નથી, મહત્ત્વાકાંક્ષા નથી.
જે ઉંમર ભણીને જીવનસંઘર્ષ માટે તૈયાર થવાની છે, જીવનને બહેતર બનાવવા પોતાનો સર્વાંગી વિકાસ કરવા માટે છે, એ સમયે તેઓ દિશાહીન રઝળ્યા કરે છે, જિંદગી કેટલી મૂલ્યવાન છે એનો એમને ખ્યાલ નથી. આઠ વર્ષના ફિલિપે બાઇસિકલ માટે દસ વર્ષની ગ્રેઇસને મારી નાખી. માન્યામાં ન આવે એવા ગુના અહીં બને છે. બાળક ખૂન કરી શકે? આટલું ક્રૂર બની શકે?
જો સરખામણી કરીએ તો અમેરિકન સમાજ જેવી જ અધોગતિ આપણે ત્યાં પણ દેખાવા માંડી છે. કોઈ પણ સમાજ ક્યારેય ગુનારહિત નથી હોતો. દરેક દેશમાં દરેક યુગમાં ગુના થાય છે. ગુનો અટકાવવા માટે કાયદા છે. ઉપદેશ આપતા સાધુ-સંત છે, ધર્મ છે, પણ ગુના તો પહેલાં થતા હતા અને થાય જ છે.
તેથી કોર્ટ, કચેરી, પોલીસ, જેલ હતાં અને છે. સમાજશાસ્ત્રીઓ કહે છે, બાળકને નાનપણથી જ સાચા-ખોટાનું વિવેકભાન કરાવવું જ જોઈએ. પ્રેમથી બાળકમાં સદ્ગુણોનું સિંચન કરવું જોઈએ. ગુનાઓ તદ્દન અટકે નહીં, પણ પરિસ્થિતિ સુધરે તો ખરી જ.
એક સર્વેક્ષણ એવું કહે છે કે આપણો ભારત દેશ ભૂખે મરતો. બેકાર માણસ જેને ઘરકુટુંબ નથી હોતાં, એ અપરાધના પંથે વળે છે. આપણાં ત્યાંના ગુનાના પાયામાં ભૂખમરો અને ગરીબી છે. જ્યારે પશ્વિમની ભૌતિક સુખસગવડોથી સમૃદ્ધ દુનિયામાં આપણા દેશ કરતાં વધારે ગુના બને છે કેમ કે ત્યાં આપણા જેવો સુગ્રથિત સમાજ નથી, સંતપ્રકૃતિના કરુણામય સજ્જનો નથી.
પ્રેમ અને કાળજીથી સન્માર્ગે વાળનાર હિતેચ્છુ, નિ:સ્વાર્થી સમાજસેવકો નથી. અમેરિકામાં સરકાર આ પ્રશ્ન પરત્વે જાગૃત છે, પણ સમાજમાં માનવતાપ્રેમીઓ હોવા જોઈએ, જે માર્ગભૂલ્યાને માનવતાના પંથે વાળે.
No comments:
Post a Comment