Thursday, February 25, 2010

વિદેશમાં સાલે સ્વજનની ખોટ

Prashasti Mehta

સ્વતંત્રતામાં સ્વદેશને ભૂલે તે ક્યાંયના ન રહે ને? અમેરિકા આવ્યા પછી મુકેશભાઇ અને રમાબહેન ભારતને સાવ ભૂલી જ ગયાં હતાં. આજે મુકેશભાઇની વિદાય પછી વિદેશમાં વસી રહેલા રમાબહેન દેશમાં રહેતાં સ્વજનો માટે વિદેશી બની ગયાં છે.



મુકેશભાઈ અમેરિકા ભણવા આવ્યા હતા, પણ અહીં ખૂબ સારી જોબ મળી ગઈ અને અહીં જ રહી ગયા. એમના પત્ની રમાબહેન નાના શહેરમાંથી આવતા હતા. એ તો અમેરિકાની રોકટોક વગરની, મોજમસ્તીભરી જિંદગીમાં ભારતને સાવ ભૂલી ગયા હતા. એમને એક દીકરો અને એક દીકરી છે.



અપેક્ષા મુજબનાં સર્વ સુખો મળ્યાં છે. વર્ષો વીતતાં જાય છે. ત્યાં એમના સુખના મહેલમાં એક તિરાડ પડી. દીકરો અમેરિકન યુવતીને પરણ્યો અને બીજા શહેરમાં જઇને વસ્યો. હવે તે માબાપને મળવા ખાસ આવતો નથી. હા, પોતાની પ્રગતિના સમાચાર આપે છે, પણ કોને ખબર કેમ દીકરાની પ્રગતિની વાત સાંભળીને માબાપ નાચી ઊઠતાં નથી. દીકરો એમને જાણે પોતાનો નથી લાગતો.



દીકરી સુહાસ લગ્ન કર્યા વગર એક ઇટાલિયન યુવક સાથે સહજીવન ગાળે છે. એ માબાપને મળવા આવે છે, પણ સાથે પેલો ઇટાલિયન તો હોય જ. મુકેશભાઈ અને રમાબહેનનું લોહી ઊકળી આવે છે, પણ એ કંઈ કહી શકતાં નથી.



અમેરિકામાં પોતાનાં બાળકનેય કંઈ પણ કહેવાનો હક માબાપને નથી. એ બાળક પોલીસ બોલાવી શકે છે, માબાપને ગુનેગાર ઠેરવી શકે છે, ત્યાંની સ્વતંત્રતા ક્યારેક સંતાનને અંતિમ પગલું લેવા ય ઉશ્કેરે છે. મુકેશભાઈ અને રમાબહેન આ વાત જાણતા હોવાથી ચૂપ જ રહે છે. તેઓ દીકરીને કંઈ કહી શકતા નથી, પણ મનમાં ધૂંધવાયા કરે છે.



રમાબહેન અને મુકેશભાઈ જીવનનો ઉત્સાહ ગુમાવી બેઠા છે. મુકેશભાઈને પોતાના કામમાં રસ નથી પડતો. તેમણે જોબ છોડી દેવાનો વિચાર કર્યો.



રમાબહેન પૂછે છે, ‘જોબ છોડીને શું કરશો? અહીં ક્યાં કોઈ ખાસ ઘનિષ્ઠ મિત્ર છે? કોની સાથે સમય ગાળશો?’



રમાબહેનની વાત સાચી હતી, લગભગ ચાલીસ વર્ષથી તેઓ અમેરિકામાં વસે છે, પણ પોતાના મનની મૂંઝવણ ઠાલવીને હૈયું હળવું કરી શકાય એવો કોઈ સંબંધ એમને નથી.
એ બંને પતિપત્ની છે, પણ સાવ ઉદાસ, નિરાશ અને ઉત્સાહ વગરનાં થઈ ગયા છે. કલાકો સાથે બેઠાં હોય તોય મન હળવું થાય એવી એકે વાત ન કરી હોય, એકાદ વખત હસ્યાં ન હોય.



મુકેશભાઈને સંગીતમાં રસ હતો. કોલેજમાં ઉદાસ ગીતો ત્યારે એમને મધુર લાગતા હતા. એમના ગાયેલા એ ગીતોના શબ્દો એમના હૃદયને કોઈ માદક મોહિનીમાં ગરકાવ કરી દેતા હતા, પણ આજે અનંત ખાલીપો છે.



દુ:ખ મુકેશભાઈના હૃદય પર બોજ બનતું ચાલ્યું અને એક દિવસ એ બોજમાં મુકેશભાઈનું હૃદય ધબકતું અટકી ગયું. રમાબહેન પાસે વિદાય માગવાનોય ખ્યાલ ન રહ્યો. રમાબહેનનું રૂદન અટકતું જ નથી. એ કહે છે, ‘મારા જીવનનો આરંભ કેટલો સરસ હતો?



સમાજથી દૂર સ્વતંત્ર જિંદગી મળી, જ્યાં કોઈની ગુલામી નહીં, ઘસાવાનું નહીં, મબલખ કમાણી, અદ્યતન સગવડોવાળું વૈભવી ઘર, સ્વિમિંગ પુલ, દીકરો આવ્યો, દીકરી આવી, જિંદગીના પચીસ-ત્રીસ વર્ષ કેટલા સરસ, સુખમય ગયા? પણ આજે લાગે છે એ બધાં સુખ કેટલા આભાસી હતા. આજે હું કેટલી એકાંકી છું. હું રડું તો રડતી જ રહું છું, મારાં આંસુ લૂછનાર કોઈ નથી.



હું આપણા દેશમાં હોત તો કેટલા બધાં સ્વજનો મને વિંટળાઈને આશ્વાસન, હિંમત આપતા હોત. તો દેશમાં જઇને શું કરું? ત્યાં ય હવે હું પરદેશી છું. સુખમાં હું સ્વાર્થી બની ગઈ હતી. કોઈને મારી નિકટ રાખ્યા જ નથી, પછી ક્યાંથી મળે મને સ્નેહ અને સાંત્વના?



family

No comments:

Post a Comment