પપ્પા તો ગયા, હવે કોને મળવા જાઉ?
Source: Prashasti Mehta | Last Updated 0:12(18/04/10)
Comment| Share
Previous Articles
ગીતાંજલિના પપ્પાના અવસાનના સમાચાર સાંભળી મેં ફોન કર્યો. શોક દર્શાવીને મેં પૂછ્યું, ‘ઇન્ડિયા ક્યારે જવાની છે?’ ‘હું નથી જવાની.’ આંસુભીના કંઠે ગીતાંજલિ બોલી. નવાઇ પામતાં મેં પૂછ્યું, ‘કેમ?’ એકાદ વીકની રજા તો એને મળી શકે એ હું જાણતી હતી. ઉદાસ સ્વરે એ બોલી, ‘હવે કોની પાસે જવાનું?’ પપ્પાના અવસાનથી માણસના જીવનમાં જે ખાલીપો સર્જાય એ તો કદી ભરાય નહીં, પણ ગીતાંજલિ ઇન્ડિયા જાય, સગાંને મળે, પપ્પાની સ્નેહભરી વાતો યાદ કરી રડી લે તો એનું મન હળવું થાય. વળી, ઇન્ડિયામાં એના નાના ભાઇ-ભાભી છે, એ હું જાણતી હતી.
અવસાન પછી એ કોઇ વિધિ કરે એમાં ગીતાંજલિએ મોટી બહેન તરીકે હાજર રહેવું જોઇએ. પોતાના ભાઇને આશ્વાસન આપવા એ કેમ નથી જવાની? જો કે એ એની અંગત વાત છે, એમાં આપણાથી કંઇ ન બોલાય, પરંતુ મારા વગર પૂછે ગીતાંજલિ બોલી, ‘દુનિયાની નજરે મારે ભાઇ, ભાભી છે, પણ અમારી વરચે સ્નેહ કે સંબંધ નથી. સ્નેહના ઠેકાણે નફરત છે.
મારા પપ્પાની અઢળક સંપત્તિ અને લાઇફસ્ટાઇલ વૈભવી. મારો ભાઇ લાડમાં ઉછર્યોછે. સાચા અર્થમાં એ મૂરખો છે. મારી ભાભીએ અમારી અઢળક સંપત્તિ જોઇને મારા ભાઇ સાથે પ્રેમલગ્ન કયાô. ઘરમાં પગ મૂકતાંની સાથે પોતાની હકૂમત ચલાવવા માંડી. ભાભી એના દાદીને અમારા ઘરે કાયમ માટે રહેવા લઇ આવી. એના બેઉ ભાઇઓને અમારી ઓફિસમાં પપ્પાને પૂછ્યા વગર એણે ગોઠવી દીધા. પપ્પાને મારા પર વિશેષ ભાવ હોવાથી એને ડર હતો કે પપ્પા મને મિલકતમાંથી કંઇક આપી દેશે તો?
એટલે એ પપ્પા પર ચાંપતી નજર રાખે. દિવસ દરમિયાન પપ્પા કયાં ગયા હતા એ ડ્રાઇવરને પૂછે અને પપ્પા કોને ટેલિફોન કરે છે, શું વાત કરે છે એ જાણવા જાતજાતની યુકિતઓ કરે. પપ્પાએ એને ઠપકો આપ્યો, તો એ પપ્પા સાથે ઝઘડે, એમનું અપમાન કરે. પપ્પા વ્યગ્ર અને વ્યથિત રહેતા હતા. ભાભી હઠ લઇને બેઠી કે બંગલો એના નામે કરી આપો. પપ્પાની તબિયત તંદુરસ્ત હતી. તેઓ વહુની ગેરવ્યાજબી માગણી શું કરવા સ્વીકારે? ભાભી એની જીદ મૂકે નહીં. પરિણામે, અમારા ઘરમાં કકળાટ જ રહેતો.
સમાજમાં અમારા ઘરની વાતો થવા માંડી. આવી પરિસ્થિતિમાં મારે અમેરિકા આવવાનું થયું. આવતા પહેલાં હું પપ્પાને મળવા ગઇ તો ભાભીએ પપ્પા ઊઘી ગયા છે, કહીને મને મારા પપ્પાને મળવા ન દીધી. હું કોલ કરું તો પપ્પા સાથે વાત થાય નહીં કારણ કે ભાભી ત્યાં જ હોય. મારા પપ્પા તો વહુના ત્રાસમાંથી છૂટ્યાં કારણ કે એના આવ્યા પછી પપ્પા જરાય સુખી નહોતા. મારા સાસુ કહે છે કે અત્યારે રોષ ન રખાય. તું મોટી છે, બધા મતભેદ ભૂલીને પપ્પાનું સારું દેખાય એમ તારે કરવું જોઇએ.
તારા ભાઇભાભી નાના છે, હું કહું છું તેઓ મારાથી નાનાં છે પણ કાચી ઉમરના નથી. તેઓએ પપ્પાને સંતાપ અને દુ:ખ સિવાય કંઇ આપ્યું નથી. સમાજને મારા વિશે જે માનવું હોય એ માને. મને એની પરવા નથી.’ એણે કહ્યું. હું એની સાથે સંમત થઇ. હેતપ્રેમ ન હોય તો દેખાવ કરવાનો શું અર્થ?
No comments:
Post a Comment