મા પર જિંદગી ન્યોછાવર કરતી દીકરી
Source: Prashit Mehta, Sapanani Kediye | Last Updated 15:40(01/07/10)
Comment| Share
જેઇનને જોઇ તે દિવસથી જેઇન મને ગમી ગયેલી. પ્રેમાળ અને પારદર્શક એનું વ્યક્તિત્વ. સુમધુર કંઠ, સૌમ્ય રીતભાત, દંભ કે જુઠાણું એનામાં શોધ્યુંય ન જડે. એક વાર એ મને કહે, ‘મારી મા કોણ છે એ હું જાણું છું પણ પિતા કોણ છે એ ખબર નથી.’‘એટલે કે પિતાનું નામ સુદ્ધાં ખબર નથી?’ આશ્ચર્યચકિત થતાં મેં પૂછ્યું હતું, ‘તું તારી મોમને પિતા વિશે પૂછતી નથી?’‘મારી મોમને મારા પાપાનું નામ પૂછવું એટલે મોમનું અપમાન કર્યા બરાબર મને લાગે છે. ક્યારેક મને થાય છે મારો બાયોલોજિક-જન્મદાતા બાપ કેવો કાયર, ડરપોક હશે કે મને એનું નામ ન આપી શક્યો, એના ઘરમાં-એના જીવનમાં મને સ્થાન ન આપી શક્યો. મારી વહાલી માએ તો મને જન્મ આપ્યો અને સમાજની પરવા કર્યા વિના એકલા હાથે ઉછેરી.
એના જીવનમાં કેટલીય આપત્તિઓ-વિપત્તિઓ આવી છતાં એણે મને ન અનાથાશ્રમમાં મૂકી કે ન કોઇને દત્તક આપી. મારા માટે એણે કંઇકેટલું વેઠ્યું, છતાં સ્વમાનથી જીવી.’‘તારી મોમને એક વાર તો તારા બાપનું નામ પૂછ.’ મેં જેઇનને કહ્યું.જેઇન બોલી, ‘મેં એક વાર પૂછ્યું હતું ત્યારે એણે કહ્યું હતું કે, હું ચોક્કસપણે ન કહી શકું કારણ કે એ વખતે હું બે પુરુષોના સંપર્કમાં હતી. મેં કહ્યું હતું તું એ બંનેના નામ મને કહે, ત્યારે મોમે ગુસ્સાથી કહ્યું હતું, શું કરીશ તું એવાઓના નામ જાણીને, જેઓ તારા આગમનની એંધાણી સાંભળીને મોં ફેરવીને જતા રહ્યા હતા.
જો કે મારા બહુ આગ્રહના કારણે માએ મને એ બંનેના નામ કહ્યા હતા, પણ ત્યારે એ લોકો પાસે જવાનું મન નહોતું થયું.આજે પેલા એડવોકેટ રિચાર્ડને મળવાનું મને મન થાય છે. જે માણસ કોર્ટરૂમમાં તર્કયુક્ત દલીલો કરીને ગુનેગારને સજા કરાવે છે, એ પોતે પોતાનો ગુનો કેમ ભૂલી જાય છે?’
જેઇન એડવોકેટ રિચાર્ડને મળવા ગઇ હતી. એણે જ એડવોકેટને પૂછ્યું હતું, ‘મારા જન્મની સંભાવના જાણીને તમે તો ભાગી ગયા. ત્યારે એક પળ માટેય મારી માનો વિચાર નહોતો આવ્યો?’ ત્યારે એડવોકેટે એને કહ્યું કે, ‘મને તારી માનો વિચાર આવ્યો હતો. મેં એને મોટી રકમ આપવાની ઓફર કરી હતી, આપી પણ હતી, પણ એણે સ્વીકારી નહીં. હું શું કરું? એને તો મારો સાથ જોઇતો હતો, મારું નામ જોઇતું હતું. જે હું એને આપી શકું એમ નહોતો.’ ‘કેમ આપી ન શકો?’ જેઇને પૂછ્યું હતું ત્યારે એ એડવોકેટ બોલ્યો હતો કે, ‘સમાજમાં મારી પ્રતિષ્ઠા ખરડાય.’
પછી જેઇન રોબર્ટને મળવા ગઇ. રોબર્ટ ખૂબ વિવેકી અને પ્રેમાળ હતો. એ જેઇનને ડિનર માટે લઇ ગયો. જેઇનને ફ્લેટ ખરીદી આપવાની વાત કરી. જેઇને પૂછ્યું, ‘મારી માને મળવું છે?’ રોબર્ટ કંઇ બોલી શક્યો નહોતો. જેઇને કહ્યું, ‘મારી માને કંઇ કહેવું છે?’ ત્યારે રોબર્ટ બોલ્યો હતો, ‘હું એનો અને તારો ગુનેગાર છું. આ ફ્લેટ ગિફ્ટ આપવા માગું છું. એનો સ્વીકાર કરે તો મારો મનનો બોજો ઓછો થાય.’
જેઇને ફ્લેટ સ્વીકાર્યો નહીં અને આભાર માનીને ત્યાંથી ચાલી નીકળી. જેઇને એની માને પૂછ્યું હતું, ‘તારે રિચાર્ડ કે રોબર્ટને મળવું છે?’ ત્યારે એની માએ કહ્યું હતું, ‘કોઇની જિંદગી ડહોળી નાખવાથી આપણને શું મળશે? વેર રાખવામાં કદી શાંતિ નથી મળતી. મારા જીવને શાંતિ છે, એ મારે ગુમાવવી નથી.’
જેઇન કહે, ‘સંત જેવી ઉદારતા ધરાવતી મારી માને ઉશ્કેરીને, બેચેન કરીને એ બે કાયરોને બદનામ કરવાનું મને નથી ગમતું. મારી માએ એમને માફ કરી દીધા છે. મારી મા કદી એના દુ:ખની વાત નથી કરતી. એ કાયમ સમતાથી જીવી છે. એના જીવનમાં ફરી વાર આંધી શું કરવા લાવવી?
મેં પૂછ્યું, ‘પણ તું પરણી જઇશ પછી?’ મને હતું કે જેઇન પરણે પછી એની મા ડિસ્ટર્બ તો થાય જ. ‘આવી વહાલસોયી માને મૂકીને હું પરણું? મારી માએ મારા પર એની જિંદગી ન્યોછાવર કરી છે, હું મારી જિંદગી એની પર ન્યોછાવર કરીશ.’ જેઇન બોલી. જેઇન માટે મને સ્નેહ તો હતો જ, હવે આદરમાન પણ ભળ્યા. મનોમન એના સુખ માટે મારાથી પ્રાર્થના થઇ ગઇ.
No comments:
Post a Comment