Saturday, July 17, 2010

આવેગ-આવેશે લીધો જિંદગીનો ભોગ
Source: Prashit Mehta, Sapana Ni Kediye | Last Updated 3:55(16/07/10)
Comment| Share


બાર્બરાને ખબર મળી કે એનો એકનો એક દીકરો આલ્ફ હેરોઇનના ઓવરડોઝથી મૃત્યુ પામ્યો છે. બાર્બરા સ્તબ્ધ થઇ ગઇ. આવું કંઇક બનશે એવો અણસાર એને વર્ષો પહેલા આવી ગયો હતો, પણ હમણાંથી તો બધું બરાબર ચાલતું હતું. એણે હેરોઇન છોડી દીધું હતું. એણે બાર્બરાને કહ્યું હતું, ‘મોમ, જિંદગી કેટલી સરસ છે. મેં આટલા વર્ષો વિતાવ્યા એ કેવડી મોટી ભૂલ કરી.’ આલ્ફ પોતાની શક્તિ અને સૂઝબૂઝથી જિંદગીને આકાર આપવા માગતો હતો. એને એક થ્રિલર પિકચરમાં કામ મળ્યું હતું. એ માટે એણે વજન વધારવાનું હતું. એનું વજન ૨૦૦ પાઉન્ડ થયું હતું. એ આગળ વધતો હતો. ત્યાં આ શું થઇ ગયું? બાર્બરા હોસ્પિટલમાં પહોંચી. સાથે એનો હાલનો પતિ જોન હતો. આલ્ફનો પિતા માઇકલ પણ એની હાલની પત્ની બેવર્લી સાથે હોસ્પિટલે પહોંચ્યો.

હોસ્પિટલમાંથી જાણવા મળ્યું કે પોલીસ આલ્ફને હોસ્પિટલમાં લાવી ત્યારે એ બેશુદ્ધ હતો. દાકતરી તપાસમાં આવ્યું હતું કે એણે હેરોઇન વધારે પ્રમાણમાં લીધું હતું. તેથી હાર્ટ પર દબાણ આવ્યું હતું. થ્રિલર પિકચરના પાત્રને અનુરૂપ, આલ્ફ એનું શરીર હૃષ્ટપુષ્ટ બને તે માટે સ્ટેરોઇડના ઇન્જેકશન ડોક્ટરને પૂછ્યા વગર જાતે લેતો હતો. આ ડ્રગ ઘાતક હતા. કસરત અને ખોરાકથી આલ્ફનું શરીર શેપમાં આવ્યું જ હતું. એને આવા ઇન્જેકશનની જરૂર જ નહોતી, પણ આલ્ફમાં એક નબળાઇ હતી. એ જે વસ્તુ પાછળ પડે એની પાછળ ગાંડો બની જતો. આવેગ અને આવેશમાં એ પ્રમાણભાન ગુમાવી બેસતો.

આલ્ફના અવસાનથી બાર્બરા ઘેરા શોકમાં ડૂબી ગઇ. દીકરાના મૃત્યુનું કારણ એ પોતાની જાતને માનવા લાગી. આલ્ફ નવ વર્ષનો હતો, ત્યારે બાર્બરા એના પતિ માઇકલથી છુટી પડી ગઇ હતી. આલ્ફ બહુ લાગણીશીલ હતો. એને મમ્મી-પપ્પા બેઉ જોઇતા હતા, પણ મમ્મી શો બિઝનેસમાં અને પપ્પા ટીવી સિરિયલમાં વ્યસ્ત રહેતા. દીકરાને સમય આપી શકતાં નહીં. મા-બાપના પ્રેમ વગર હજિરાતો આલ્ફ દસેક વર્ષની ઉંમરે હપિ્પીના સંપર્કમાં આવી હેરોઇનના રવાડે ચડી ગયો. આલ્ફ ભણવાનું છોડીનેે ચોરી કરતો થયો. ઘર છોડી અને ગમે ત્યાં રસ્તા, ગલીઓ કે અવાવરુ જગ્યાએ પડી રહેતો.

અવારનવાર સમાજસુધારકો એને વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કરતા. એ બહાર આવતો અને વળી પાછો ડ્રગના રવાડે ચડતો, પણ હવે એ પોતાની જિંદગી વિશે ગંભીરતાથી વિચારતો થયો હતો. સમય પસાર થતાં આલ્ફ વીસ વર્ષનો થયો. એનામાં ટેલેન્ટ તો હતી જ. લગ્ન પણ કર્યા હતા. એક મૂવીમાં એને કામ મળ્યું. એનું કામ વખણાયું હતું, પણ કોને ખબર શું થયું કે એની પત્ની એને છોડીને જતી રહી અને એ ફરી ડ્રગના રવાડે ચડી ગયો. કામ મળતું બંધ થયું. વળી એને કામ મળ્યું, ત્યાં તો એ મૃત્યુ પામ્યો. બાર્બરા પસ્તાવાની આગમાં પ્રજળ્યા કરે છે કે એના છુટાછેડાની દીકરાના માનસ પર બહુ અસર થઇ. એને થયું દીકરો પૂરો સમજદાર થાય પછી છુટાછેડા લીધા હોત તો દીકરો ડ્રગએડિકટ ન થાત, મૃત્યુ પામ્યો ન હોત, પણ હવે શું? દીકરો તો ગયો...

{ પ્રશિસ્ત મહેતા }સપનાંની કેડીએ

No comments:

Post a Comment