અમે અન્યાય નથી કર્યો
Source: Prashasti Mehta | Last Updated 13:28(24/01/10)
Comment| Share
ત્યાંથી ખસીને કિનારા પર જવાનો હવે કોઇ પ્રશ્ન જ નથી ઊઠતો. લખવાની પ્રક્રિયાએ મને સમૂળગી બદલી નાખી છે. મારાં હૃદય, મન, ચેતના બધું શબ્દો દ્વારા પ્રગટ થતું જાય છે. શબ્દોના સાથ વગર મારામાં આવું સુભગ પરિવર્તન ન આવત. શબ્દો મારા માટે અત્યંત પવિત્ર છે. ભીતરમાંથી શબ્દો આવતા જ જાય અને મારું હૈયું ઠલવાતું જાય છે અને પછી જે નિર્મળ હળવાશ હું અનુભવું છું, એની મારા જેવા અનુભવોમાંથી પસાર થયેલાને જ ખબર પડે. શબ્દોએ મને વાસ્તવિકતાનો સામનો કરતાં શીખવાડ્યું.
કેટલાક દાયકાં પહેલાં પશ્વિમના દેશોમાં ગોરા લોકો અશ્વેત લોકોને પકડી લાવીને ગુલામ બનાવતા હતા. તેઓ માણસ જ ન હોય એમ એમના પર અસહ્ય ત્રાસ ગુજારતા. ગોરો માલિક વિફરે તો ગુલામને ઢોરમાર મારીને મારી નાખતો કે એક જ ધડાકે શૂટ કરીને એના શબને રસ્તા પર ફેંકી દેતો. છતાં એ ખૂની ગોરો ગુનેગાર ન ગણાતો, એને પોલીસ રક્ષણ મળતું.
અશ્વેત બાળકને ભણવાનો હક નહોતો. વિકાસના બધા માર્ગ એના માટે બંધ હતા, પણ ગુલામી નાબૂદ થયા પછી એ અશ્વેત જાતિમાં કેટલાક યુવાન-યુવતીઓ ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, ડિટેક્ટિવ, કલાકાર, પત્રકાર, પાદરી અને લેખક બન્યા. એમના ભીતરના તેજથી ઝળહળી ઊઠ્યા.
એક અશ્વેત લેખક હાર્વર્ડ થર્મન લખે છે, અમારી જાતિ જન્મથી જ હડધૂત થતી આવી છે, સૈકાથી વેઠેલા એ જુલમની વાત લોકોએ જાણવી જ જોઇએ જેથી ભવિષ્યમાં કોઇ અન્યાય ન કરે.
લેખિકા બેલ હુક્સ કહે છે, ‘પૈસા કમાવા કે પ્રસિદ્ધિ મેળવવા મેં હાથમાં કલમ નથી પકડી, પણ મારી અંદર ઘેરી હતાશાનો પાતાળકૂવો છે, એમાં હું ગુંગળાતી હતી. મને આપઘાતના વિચારો આવતા હતા, પણ શબ્દોએ મને બચાવી લીધી. લેખન દ્વારા મારી લાગણીઓને હું વાચા આપું છું.
ક્યારેક શબ્દો ન મળે અને હું બહાવરી બની જાઉ ત્યારે મારી બહેન મને કહેતી, ‘છોકરી, તું તારી અંદરની દુનિયામાંથી બહાર આવ. જિંદગીમાં વેઠેલાં દુ:ખો ભૂલી જા.’ ત્યારે હું કહેતી, મારા પૂર્વજોનાં લોહીથી ખરડાયેલા માર્ગ પર ચાલવાનું છે. એમનાં આંસુના પૂરમાં આગળ ડગ ભરવાના છે.
ત્યાંથી ખસીને કિનારા પર જવાનો હવે કોઇ પ્રશ્ન જ નથી ઊઠતો. લખવાની પ્રક્રિયાએ મને સમૂળગી બદલી નાખી છે. મારાં હૃદય, મન, ચેતના બધું શબ્દો દ્વારા પ્રગટ થતું જાય છે. શબ્દોના સાથ વગર મારામાં આવું સુભગ પરિવર્તન ન આવત. શબ્દો મારા માટે અત્યંત પવિત્ર છે.
ભીતરમાંથી શબ્દો આવતા જ જાય અને મારું હૈયું ઠલવાતું જાય છે અને પછી જે નિર્મળ હળવાશ હું અનુભવું છું, એની મારા જેવા અનુભવોમાંથી પસાર થયેલાને જ ખબર પડે. શબ્દોએ મને વાસ્તવિકતાનો સામનો કરતાં શીખવાડ્યું. શબ્દોએ મને નિરાશામાંથી બહાર કાઢી. મારા લેખનનો મૂળ પાયો આઘ્યાત્મવાદ છે. એ ગૂઢ પ્રદેશમાં અવગાહન કરીને જીવનના એ વિરલ સ્વરૂપને આલેખવાની મથામણમાં હું જિંદગીને સમજી શકી છું.’
બીજી એક અશ્વેત કવિયિત્રી કહે છે, ‘અમારા દુ:ખોથી હું એટલી બધી વલોવાતી હતી કે મને થતું હું પાગલ થઇ જઇશ. પણ મારી પાસે શબ્દો આવ્યા અને હું બચી ગઇ. શબ્દોના જાદુએ મને સાવ બદલી નાખી.’
લેખક ચાલ્ર્સ ઇવાન લખે છે, ‘જિંદગીમાં મારી કોમે એટલું વેઠયું છે કે લોહી નીંગળતા એ ઘાવે મને બેચેન કરી મૂક્યો. મને થયું, ઓહો! મારા પૂર્વજો, મારાં સ્નેહાળ, વહાલસોયા, વિશ્વાસુ પૂર્વજો, પ્રતિપળ કચવાતા જ રહ્યા. ગોરા લોકોએ એમનાં શરીર, મન, આત્માને નામશેષ કરવા એમના પર કેટલો ત્રાસ ગુજાર્યો, પણ તેઓ નામશેષ ન થયા અને જીવ્યા.
જીવંત રહેવાની કેવી અદભૂત શક્તિ એમનામાં હશે? તેમનામાં કેવી સંવેદનશીલતા અને સર્જનાત્મકતા હશે? તો કોઇ કલાકાર બન્યા, તો કોઇ લેખક. ગાયન, નર્તન, વાદન અને શબ્દો થકી સૈકાઓની એમની વ્યથા, વેદના વ્યક્ત થઇ.
તેઓ જિંદગી જીવ્યા અને જ્યારે પોકાર પડયો, ત્યારે જે ધરતી પર તેઓ વિચરતા હતા એને બચાવવા લશ્કરમાં જોડાયા અને પોતાના પ્રાણની આહુતિ આપી. તેઓ ક્યારેય પાછા નથી હટયા. કદી દુર્ભાવ નથી રાખ્યો, કદી વેર નથી રાખ્યું. શૌર્યની સાથે સ્નેહ અને ઉદારતા દાખવ્યા છે. કઇ અમરવેલનાં એમણે પાન કર્યા હશે?!’
No comments:
Post a Comment